સૌથી વધુ રક્તદાન કરીને જરૂરિયાતમંદોની મદદ કરવાની સાથે પોતાની માંગને બુલંદ બનાવવા ખેડૂતો મક્કમ
મોરબી : રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતયાના વતન મોરબી જેતપર ગામે વીજલાઇનના વળતર મુદ્દે ખેડૂત આંદોલનની જે ચિનગારી પ્રગટી છે. તે આખા ગુજરાતમાં ફેલાય હોવાથી એકપણ રૂપિયાનું વળતર ચૂકવ્યા વગર બળજબરીથી પોતાની માલિકીના ખેતરોમાં વીજ પોલ નાખતા હોય છતાં પણ સરકાર અને તંત્ર ખેડૂતોને ન્યાય આપવાને બદલે ખાનગી કંપનીના ઈશારે ખેડૂતોને અન્યાય કરતી હોવાથી કંપની અને સરકાર સામે સમગ્ર જગતાંતમાં પ્રચડ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે સરકારની નવતર રીતે આંખ ઉઘાડવા અને જરૂરિયાતમંદ દર્દીઓની લોહીની ઉણપ પુરી પાડવા આજે જેતપર ગામે અન્નદાતા રક્તદાતા બન્યા હતા.
જેતપર ગામે અહીંસંક ઢબે અને નવતર વિરોધ પ્રદર્શન સાથે ચાલતા ખેડૂત આંદોલનમાં આજે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. ” અમે બનીશું રક્તદાતા” ના સંકલ્પ સાથે ખેડૂતો દ્વારા આયોજિત ભવ્ય રક્તદાન કેમ્પની આજે સવારે શરૂઆત થઈ ગઈ છે. ખેતરમાં પરસેવો પાડીને અન્ન પકવતો અન્નદાતા હવે લોકોના જીવ બચાવવા માટે રક્તદાતા બન્યો છે.આ મેગા રક્તદાન કેમ્પ જેતપર ખાતે આવેલી ઉપવાસ છાવણી પર યોજાઈ રહ્યો છે. આજે સવારે 9 વાગ્યે કૈલાસ ગીરી બાપુ અને ગામના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
વીજલાઇનના વિરોધમાં લડી રહેલા અન્નદાતાઓએ ગુજરાતના તમામ લોકોની અંતર-આત્મા જગાડવા માટે આ અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ રક્તદાન કેમ્પમાં સૌથી વધુ રક્ત એકત્ર કરવાનો રેકોર્ડ સર્જવાનો ખેડૂતોનો લક્ષ્યાંક છે. ‘એક બોટલ રક્ત, ઘણી જિંદગીઓની આશા’ ના સૂત્ર સાથે આયોજિત આ માનવ સેવાના પુણ્ય કાર્યમાં જોડાવા ગામે ગામથી ખેડૂતો ઉમટી રહ્યા છે.












