મોરબી: જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને વધુ મજબૂત કરવા માટે મોરબીથી મોટો ટેકો જાહેર કરવામાં આવ્યો છે. મોરબી અને વિવિધ જગ્યાએ ચાલતી ધૂનના અંદાજે 2750 સભ્યોનું મંડળ આ આંદોલનને સમર્થન આપવા માટે જેતપર ગામે જશે. નાથાબાપા ભગત પ્રેરિત રામધુન મંડળ અને ગોપી મંડળ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.
ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે તમામ જ્ઞાતિના લોકોને એકત્રિત થવા અપીલ કરવામાં આવી છે. આ અંતર્ગત આવતીકાલે તા. 04-07- 2026 ને શનિવારના રોજ બપોરે 4:00 કલાકે રામધુન મંડળ અને ગોપી મંડળ સાથે મોટી સંખ્યામાં લોકો જે. કે. બિલ્ડીંગ (રામધુન), વાવડી ચોકડી ખાતેથી જેતપર જવા રવાના થશે.
આ આંદોલનમાં જોડાવા ઈચ્છતા તમામ લોકોને પોતપોતાના વાહન લઈને નિયત ધૂન સ્થળ પર પહોંચવા જણાવાયું છે. જે સભ્યો પાસે વાહનની વ્યવસ્થા નથી, તેમના માટે ટ્રાવેલ્સ બસની ખાસ સુવિધા કરવામાં આવી છે. રામધુન મંડળ, ગોપી મંડળ તેમજ સેવા આપતા તમામ પ્રતિનિધિઓ દ્વારા સર્વે લોકોને ખેડૂતોના સમર્થનમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











