મોરબી : માનવસેવા એ જ સાચી ઈશ્વરસેવા છે. આ ઉક્તિને સાર્થક કરતા પીએચસી ખાખરાળાના પૂનમબેન ડાંગર દ્વારા પોતાના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને સમયાંતરે નિઃસ્વાર્થ સેવા અને સહાય પૂરી પાડવામાં આવે છે. તેઓ તેમના સ્વર્ગસ્થ બહેન સોનલબેન વાસુરભાઈ ડાંગરની પવિત્ર સ્મૃતિને જીવંત રાખવાના ઉમદા હેતુથી આવા સેવાકીય કાર્યો કરી રહ્યા છે.
આ સેવાકીય કાર્યના અનુસંધાનમાં આજે પૂનમબેન ડાંગર પોતાના વિસ્તારમાં રહેતા એક જરૂરિયાતમંદ સગર્ભા બહેનની વહારે આવ્યા હતા. આ સગર્ભા બહેનના ગર્ભમાં 2 (જોડિયા) બાળકો છે અને તેમને લોહીની ઉણપ હોવાનું નિદાન થયું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પૂનમબેન દ્વારા તેમને પીએચસી ખાખરાળા ખાતે ડૉ. જીવાણી પાસે સત્વરે યોગ્ય સારવાર અપાવવામાં આવી હતી. સારવાર બાદ માતા અને ગર્ભસ્થ બાળકોના સારા સ્વાસ્થ્ય માટે પૂનમબેન ડાંગર દ્વારા પોતાના સ્વખર્ચે સગર્ભા બહેનને પોષણ કિટ અર્પણ કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ બહેન સોનલબેન વાસુરભાઈ ડાંગરની સ્મૃતિમાં થઈ રહેલા આ સેવાકીય કાર્યો સમાજમાં સેવા, સંવેદના અને માનવતાનો ઉત્તમ સંદેશ પ્રસરાવે છે તથા અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે.










