આશ્રમ ખાતે નવનિર્મિત ગેટનું લોકાર્પણ કરાયું: રાત્રે પાટ સંતવાણીમાં બાળ કલાકારો ભજનની રમઝટ
મોરબી: મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજના પાવન પર્વની નિમિત્તે મહંત ભાવેશ્વરીમાંના દિવ્ય સાનિધ્યમાં સવારથી જ ભક્તિમય માહોલમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સવારે પવિત્ર યજ્ઞ અને નેજા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
દાતા પરિવારના હસ્તે ગેટનું લોકાર્પણ
અષાઢી બીજના આ વિશેષ અવસરે રામધન આશ્રમ ખાતે નવનિર્મિત મુખ્ય ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગેટનું નિર્માણ ઘુંટુ ગામના દાતા સ્વ. નરભેરામભાઈ મોહનભાઈ ધોરીયાણીના સ્મરણાર્થે તેમના પરિવારજનો રેવાબેન, વનીતાબેન, શોભનાબેન અને જયશ્રીબેન દ્વારા કરાવવામાં આવ્યું છે, જેમના હસ્તે આ ગેટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
રાત્રે સંતવાણી
રાત્રે આશ્રમ પરિસરમાં ભવ્ય પાટ સંતવાણી કાર્યક્રમમાં બાળ કલાકારો પોતાની કળાના રંગ વિખેરશે, જેમાં બાળ કલાકાર નામદેવ, બાળ કલાકાર મિલન તેમજ બાળ તબલા વાદક દેવાંગ અને બાળ તબલા વાદક રુદ્ર સહિતના અનેક જાણીતા ભજનિકો ભજનની રમઝટ બોલાવી શ્રોતાઓને ભક્તિરસમાં તરબોળ કરશે તેવું મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.













