મોરબી ડેઈલી : મોરબીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને લઈને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વ હિન્દુ સંગઠનો દ્વારા જન્માષ્ટમીના પાવન અવસરે એક ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના રાજમાર્ગો પરથી પસાર થનારી આ શોભાયાત્રામાં વિવિધ મંડળો અને સંગઠનો ભારે ઉત્સાહપૂર્વક જોડાશે, જેનાથી સમગ્ર શહેરનું વાતાવરણ કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ જશે.
હિન્દુ સંગઠનના અગ્રણી કમલેશ બોરીયાએ વિગતો જાહેર કરતા જણાવ્યું કે આ વિશાળ શોભાયાત્રા સવારે 8 વાગ્યે રેલવે સ્ટેશન પાસે આવેલા જડેશ્વર મંદિરથી પ્રસ્થાન થશે. ત્યારબાદ તે સુપર ટોકીઝ, નવયુગ ગારમેન્ટ ચોક, ત્રિકોણ બાગ, નવા ડેલા રોડ, રિદ્ધિ સિદ્ધિ ફાટક, ખાખીની જગ્યા, જુના બસ સ્ટેન્ડ, રામ ચોક, સીતા ચોક, ચકિયા હનુમાનજી મંદિર, ગાંધી ચોક (પેટ્રોલ પંપ), શાક માર્કેટ, નહેરુ ગેઇટ અને ગ્રીન ચોક જેવા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. અંતમાં દરબારગઢ સ્થિત રામ મહેલ મંદિર ખાતે આ યાત્રાની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થશે.
આ યાત્રાને વધુ રોમાંચક અને દિવ્ય બનાવવા માટે અલગ-અલગ મંડળો દ્વારા રૂટ પર કુલ 20 જેટલા સ્થળોએ મટકીફોડના કાર્યક્રમો યોજાશે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત, ધાર્મિક સંસ્કૃતિને ઉજાગર કરતા 8 થી 9 જેટલા સુંદર ફ્લોટ્સ (ઝાખીઓ) પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અમુક સ્થળોએ શિવલિંગ અને અન્ય ધાર્મિક પ્રતિકૃતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. વિવિધ સંગઠનો પોતાના ડીજે સિસ્ટમ અને રથ સાથે જોડાઈને નગરને ગુંજતું કરશે.
ધર્મપ્રેમી જનતાને ઉમટી પડવા જાહેર અપીલ
આ પવિત્ર અવસરે સર્વ હિન્દુ સંગઠનો દ્વારા સમગ્ર સનાતન હિન્દુ સમાજને એકતા અને ભક્તિનો સંદેશ આપવામાં આવ્યો છે. મોરબીની તમામ ધર્મપ્રેમી જનતા અને કૃષ્ણ ભક્તોને આ ભવ્ય શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં જોડાઈને આયોજનને વધુ દિવ્ય, ઐતિહાસિક અને સફળ બનાવવા માટે જાહેર આહ્વાન કરવામાં આવ્યું છે.











