વાંકાનેરના ભલગામ નવાપરા વિસ્તારમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રૌઢનું મોત કોઈ બીમારીના કારણે થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, જે અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં આવતા ભલગામ નવાપરા પાસે, હોટલ આઈ કૃપાની સામે આદિત્ય લોખંડના કારખાનાની દીવાલ પાસેથી આશરે ૪૦ થી ૫૦ વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને આ અંગે જાણ થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિનું મોત કોઈ બીમારી સબબ થયું હોવાનું જણાઈ આવ્યું છે. હાલ પોલીસે મૃતકની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










