મોરબી : જેતપર ગામે વીજલાઈનના વળતરને લઈ ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવામાં આવી રહ્યું છે. ગામના ખેડુતોએ ખેડૂત ક્રાંતિ સંગઠન નામના સંગઠનની રચના પણ કરી છે. જેનું વોટ્સએપ ગ્રુપ બનાવીને લોકો સુધી આંદોલનની માહિતી પહોંચાડવામાં આવી રહી છે. આ વોટ્સએપ ગ્રુપના એડમીનનું એકાઉન્ટ ત્રીજી વખત સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે ખેડૂત ક્રાંતિ સંગઠનના ધવલ જાકાસણીયાએ જણાવ્યું હતું કે, “આ કોઈ પહેલી ઘટના નથી, મારું વોટ્સએપ એકાઉન્ટ આ ત્રીજી વાર બંધ કરવામાં આવ્યું છે. આ પહેલાં મારું પર્સનલ વોટ્સએપ બંધ થયું હતું, ત્યારબાદ મારા કારખાનાનું વોટ્સએપ એકાઉન્ટ પણ સાથે જ બંધ કરી દેવાયું હતું. એટલું જ નહીં, મેં ખેડૂત ક્રાંતિ સંગઠનનું જે ફેસબુક પેજ બનાવ્યું હતું, તેને પણ બંધ કરી દેવામાં આવ્યું હતું, જેને માંડ-માંડ રીજોઈન કરીને પાછું મેળવ્યું હતું. ત્યાં વળી પાછું આ વોટ્સએપ ઉડાવી દેવાયું છે.”
ધવલ જાકાસણીયા તમામ ખેડૂત ગ્રૂપોમાં મુખ્ય એડમિન તરીકે કાર્યરત છે. વારંવાર એકાઉન્ટ ટાર્ગેટ થવા પાછળ કોઈ ટેકનિકલ કારણો છે કે સરકારનો હાથ? તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, “તમામ ખેડૂત લક્ષી ગ્રૂપોમાં એડમિન તરીકે તેઓ જવાબદારી સંભાળે છે, આ જોતાં આમાં સરકારનો જ હાથ હોય તો પણ નવાઈ નહિ.”એકાઉન્ટ સસ્પેન્ડ થવા છતાં ખેડૂત ક્રાંતિ સંગઠને સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોના હક્ક અને ન્યાય માટેનો સંઘર્ષ કોઈપણ સંજોગોમાં યથાવત્ રાખવામાં આવશે. સંગઠન દ્વારા તમામ ખેડૂત સભ્યોને ધીરજ રાખવા અને એકજૂટ રહીને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.











