મોરબી: પીજીવીસીએલ વર્તુળ કચેરી મોરબીના અધિક્ષક ઈજનેર એચ. એમ. ભોજાણીએ જણાવ્યું હતું કે, વડી કચેરીના આદેશ અનુસાર 26 જૂનથી 2 જુલાઈ સુધી વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે લોકોમાં વીજ સલામતી અને વીજ બચત અંગે જાગૃતિ લાવવા માટે પીજીવીસીએલ કચેરીથી એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વીજ અકસ્માતો નિવારવા માટે તેમણે લોકોને ખાસ તકેદારી રાખવા જણાવ્યું છે. માનવ જીવન અમૂલ્ય હોવાથી ઘરમાં ELCB અને RCCB અપનાવવા અપીલ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે, પશુઓને વીજ થાંભલા સાથે બાંધવા નહીં અને તેમનાથી દૂર રાખવા. વીજ થાંભલા સાથે તાર કે દોરી બાંધીને કપડાં ન સૂકવવા, ચોમાસામાં ભેજવાળા વાતાવરણને લીધે લીકેજ કરંટ લાગવાની શક્યતા વધુ રહેતી હોય છે તેથી સાવચેતી રાખવી હિતાવહ છે.
વીજ બચત અને પર્યાવરણમાં પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશ્યથી તેમણે લોકોને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર રૂફટોપ અપનાવવા અનુરોધ કર્યો છે. આ યોજનામાં સરકાર દ્વારા 78000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે અને બેંક દ્વારા લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
વધુમાં, સ્માર્ટ મીટરના મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી, પરંતુ તેમાં ગ્રાહકો સહકાર આપે તે જરૂરી છે. સ્માર્ટ મીટરના ફાયદાઓ જણાવતા તેમણે કહ્યું કે આનાથી ગ્રાહકો પોતાનો રિયલ ટાઈમ વીજ વપરાશ મોબાઈલ મારફતે ગમે ત્યારે જોઈ શકે છે અને ક્યાં વીજ વપરાશ ઘટાડી શકાય તેનું સચોટ આયોજન કરી શકે છે.












