જેતપરમાં 12 જિલ્લાના ખેડૂતો અને સરપંચો સાથે બેઠક યોજી આંદોલન પાર્ટ-3 અંગેના મંતવ્યો લેવાયા
મોરબી : મોરબીના જેતપર ગામેથી વીજલાઈનના વળતર મુદે શરૂ થયેલ આંદોલન હવે રાજ્યવ્યાપી બનાવવા અને રાજ્યભરના ખેડૂતોને તેમાં જોડવાની તૈયારીઓ ચાલી રહી છે. આજે આંદોલન પાર્ટ-3 અંગે 12 જિલ્લાના ખેડુતો અને 100 ગામોના સરપંચો સાથે જેતપર ખેડૂત સમિતિ દ્વારા બેઠક યોજી તેમના મંતવ્યો લેવામાં આવ્યા હતા.
જેતપર ખેડૂત સમિતિના નેહુલ અમૃતિયાએ જણાવ્યું કે, હાલમાં બહારના 12 જિલ્લાના ખેડૂતો અને સરપંચોને બોલાવવામાં આવ્યા છે. જેમાં મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે. સરપંચો પોતાના લેટરપેડ પર સરકારના પરિપત્રને અમાન્ય ગણાવતું લખાણ અને નીચે ખેડૂતોના નામ તથા સહી સાથે જિલ્લા વાઈઝ જમા કરાવી રહ્યા છે. આ ઉપરાંત, હાલમાં ઉપસ્થિત તમામ લોકોને એક કાગળ આપવામાં આવ્યો છે, જેમાં તેઓ આંદોલન અંગે પોતાના સૂચનો લખી રહ્યા છે.
આગામી રણનીતિ અને રાજ્યસ્તરની કમિટીની રચના
આગામી કાર્યક્રમ અંગે વાત કરતા નેહુલ અમૃતિયાએ કહ્યું કે, કાલે 9 તારીખે સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાના ખેડૂતો આવશે. તેમની પાસેથી પણ મંતવ્યો લેવામાં આવશે. આ તમામ સૂચનો ભેગા કરી, તેનો અભ્યાસ કર્યાં બાદ ગુજરાતના તમામ ખેડૂતો સાથે મળીને આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ માટે ગુજરાત સ્તરની એક કમિટી પણ બનાવવામાં આવશે. કમિટીની રચના અને આગળની રણનીતિ તમામ ખેડૂતોના સૂચનો આવ્યા બાદ સર્વસંમતિથી નક્કી કરવામાં આવશે.
આગામી રણનીતિ અને રાજ્યસ્તરની કમિટીની રચના
આગામી કાર્યક્રમ અંગે વાત કરતા નેહુલ અમૃતિયાએ કહ્યું કે, કાલે 9 તારીખે સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાના ખેડૂતો આવશે. તેમની પાસેથી પણ મંતવ્યો લેવામાં આવશે. આ તમામ સૂચનો ભેગા કરી, તેનો અભ્યાસ કર્યાં બાદ ગુજરાતના તમામ ખેડૂતો સાથે મળીને આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ માટે ગુજરાત સ્તરની એક કમિટી પણ બનાવવામાં આવશે. કમિટીની રચના અને આગળની રણનીતિ તમામ ખેડૂતોના સૂચનો આવ્યા બાદ સર્વસંમતિથી નક્કી કરવામાં આવશે.
જેતપરમાં ખેડૂત છાવણી હાલ યથાવત રહેશે
અનેક ગામોએ પરિપત્રનો અસ્વીકાર કર્યો છે. અમુક લોકો જે રૂબરૂ નથી આવી શક્યા અથવા લેટરપેડ સાથે લાવ્યા નથી. તેમના પત્ર કુરિયર મારફતે આવશે. આ પ્રક્રિયામાં 4 દિવસ જેટલો સમય લાગી શકે છે. ત્યાં સુધી હાલની ખેડૂત છાવણી યથાવત રહેશે. નવું આયોજન નક્કી ન થાય ત્યાં સુધી છાવણી રહેશે અને છાવણી અંગેનો આગળનો નિર્ણય પણ ગુજરાતના ખેડૂતોની કમિટી દ્વારા જ લેવામાં આવશે.











