પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવતની ઉપસ્થિતિમાં ભારતીય નાગરિકતાની પ્રક્રિયા, વિઝા રિન્યુઅલ અને પાયાની દસ્તાવેજી સુવિધાઓ અંગે સ્થળ પર જ અપાયું જરૂરી માર્ગદર્શન
મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન અન્વયે મોરબી તાલુકાના મકનસર ગામે વસવાટ કરતા પાકિસ્તાની શરણાર્થીઓ માટે સ્થળ પર જ એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવતની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય શરણાર્થી પરિવારોની વહીવટી મુશ્કેલીઓ સાંભળી તેમને ભારતીય નાગરિકતા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ અંગે યોગ્ય દિશાનિર્દેશ આપવાનો હતો.
વહીવટી તંત્ર દ્વારા આ સ્થળ-કેમ્પમાં શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મેળવવા માટે પ્રમાણપત્રની અરજી કરવા અંગેની સંપૂર્ણ પ્રક્રિયાની સમજૂતી આપવામાં આવી હતી અને એક્સપાયર થયેલા પાસપોર્ટ અને લોંગ-ટર્મ વિઝા (LTV) ની સમસ્યાઓ અંગે જરૂરી ચર્ચા કરી કાનૂની માર્ગદર્શન અપાયું હતું.
ઉપરાંત આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા પાયાના દસ્તાવેજો કઢાવવા અંગેની રજૂઆતો મેળવવામાં આવી હતી તથા લગ્ન પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા તેમજ શરણાર્થીઓના બાળકોને સ્થાનિક શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ અપાવવા બાબતે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો. હતો.
આ કેમ્પ થકી શરણાર્થીઓ દ્વારા કરવામાં આવેલી વિવિધ વહીવટી રજૂઆતો સાંભળીને તેનું નિયમોનુસાર સકારાત્મક નિવારણ લાવવા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.











