મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, મોરબી તાલુકા દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ગુરુ-શિષ્ય પરંપરાના મહિમાને ઉજાગર કરવા “ગુરુવંદના કાર્યક્રમ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે રવિભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ અઘારા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી હતી, જે ધર્મેન્દ્રભાઈ કવઠીયા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો તથા આગેવાનોનો પરિચય નીરવભાઈ દ્વારા કરાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન હિતેશભાઈ પંચોટિયા દ્વારા કલ્યાણ મંત્ર રજૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સંજયભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.
મુખ્ય વક્તા રવિભાઈ ઝાલા દ્વારા ગુરુના મહિમા, શિક્ષકની જવાબદારી અને ભારતીય ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર, મૂલ્યો અને રાષ્ટ્રભાવનાનું સિંચન કરનાર મહત્વપૂર્ણ ઘડવૈયા છે, તે અંગે ભાર મૂકવામાં આવ્યો હતો.
મુખ્ય મહેમાન વિપુલભાઈ અઘારા દ્વારા પણ શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પોતાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે દિનેશભાઈ વડસોલા દ્વારા મોરબી તાલુકા ટીમની નવી રચનાની જાહેરાત કરવામાં આવી હતી. નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી શિક્ષકોના હિત, શૈક્ષણિક ગુણવત્તા, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણના કાર્યને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શિક્ષક ભાઈ-બહેનો, મહેમાનો અને કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ, ગુરુ પરંપરા, શિક્ષક એકતા અને રાષ્ટ્ર સેવા જેવા મૂલ્યોના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
“શિક્ષા દ્વારા રાષ્ટ્ર સેવા અને સંસ્કાર દ્વારા રાષ્ટ્ર નિર્માણ”ના સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.













