મોરબી શહેરમાં રખડતા પશુઓના ત્રાસને ડામવા માટે મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મોરબી મહાનગરપાલિકા બન્યા પછી આજદિન સુધીમાં જાહેર માર્ગો પર અડચણરૂપ થતા કુલ 3,765 રખડતા પશુઓને પકડી લેવામાં આવ્યા છે.
ANCD શાખા દ્વારા ચાલુ અઠવાડિયા દરમિયાન વધુ 15 પશુઓને પકડવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો પરથી પકડાયેલા આ ઢોરને મોરબી જિલ્લાની આજુબાજુની ગૌશાળાઓ, નંદીઘર તથા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, મોરબી મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાંથી પણ 600 થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
લાયસન્સ અને પરમિટની કામગીરી:
ANCD શાખા દ્વારા અત્યાર સુધીમાં 306 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે અને 18 પશુ માલિકોના લાઇસન્સ રિન્યૂ કરી આપવામાં આવ્યા છે. ઘાસચારાના વેચાણ અંગે 33 લોકોને પરમિટ અપાઈ છે અને 2 ઘાસ વેચાણ પરમિટ રિન્યૂ કરવામાં આવી છે. શહેરમાં પાલતુ શ્વાન અંગે પણ જાગૃતિ આવતા 49 નાગરિકોના પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને 6 ડોગ લાઇસન્સ પરમિટ રિન્યૂ કરાઈ છે.
RFID ટેગિંગ અને રજીસ્ટ્રેશન અંગે અપીલ:
મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં કુલ 2,920 પશુઓનું RFID અને Tagging કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા તમામ પશુ માલિકો અને પેટ ડોગ (પાલતુ શ્વાન) માલિકોને વહેલી તકે પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરવામાં આવી છે. આગામી સમયમાં પણ મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા RFID, ટેગિંગની પ્રક્રિયા અને રખડતા પશુઓને પકડવાની કામગીરી સઘન રીતે યથાવત રાખવામાં આવશે તેવું જણાવાયું છે.











