મોરબી માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણીમાં મોરબી, માળિયા અને ટંકારા તાલુકાના મતદારોએ ભારે ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ખેડૂત વિભાગની 10 બેઠકોમાં 96.08 ટકા મતદાન થયું છે. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકોમાં 100% મતદાન થયું છે. બન્ને વિભાગોનું સરેરાશ 96.21% જેટલું ઊંચું મતદાન નોંધાયું છે.
ખેડૂત વિભાગમાં 110 જેટલી સહકારી મંડળીઓના 1507 ખેડૂતો પૈકી 1448 મતદારોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કર્યું હતું. જ્યારે વેપારી વિભાગમાં 51 પૈકી તમામ 51 મતદારોએ મતદાન કર્યું હતું. હાલ મતપેટીઓ સીલ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી છે. હવે કાલે સવારથી જ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આવતીકાલે જાહેર થનારા પરિણામો પર સમગ્ર મોરબી જિલ્લાના રાજકીય અને સહકારી વર્તુળોની મીટ મંડાયેલી છે. ભાજપ પ્રેરિત સહકાર પેનલ અને કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે સીધી ટક્કર હોવાથી બંને પક્ષો માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ચૂકી છે.
આ ચૂંટણીમાં ભાજપ તરફથી મોહનભાઈ કુંડારિયા, મગનભાઈ વડાવિયા, જયંતીભાઈ રાજકોટિયા અને કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનોની સાખ દાવ પર લાગેલી છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસના લલિત કગથરા, નયન અઘારા અને મનોજ પનારા સહિતના નેતાઓએ પરિવર્તન લાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. ઉંચા મતદાનને લઈને બંને છાવણીઓ પોતપોતાની જીતના મક્કમ દાવા કરી રહી છે. ત્યારે આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થશે કે સહકારી મતદારોએ સહકાર પેનલ પર ફરી ભરોસો મૂક્યો છે કે પછી પરિવર્તનની તરફેણમાં કોલ આપ્યો છે.











