મોરબી: દીકરી જ્યારે સુશિક્ષિત, જાગૃત અને સંસ્કારી બને છે ત્યારે માત્ર એક પરિવાર જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રનું નિર્માણ થાય છે. દીકરીઓ પોતાના લક્ષ્ય પ્રત્યે સ્પષ્ટ બને, ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ સમજે તેમજ તેમનામાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ દ્રઢ બને તેવા ઉમદા હેતુથી મોરબીમાં ભવ્ય છાત્રા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ-મોરબી અને મહિલા સમન્વય મોરબી જિલ્લા દ્વારા “હમ હૈ ભારત વિધાતા” (દીકરી એ જ દેશનું ભવિષ્ય) વિષય પર આગામી 17 સપ્ટેમ્બર 2026, ગુરુવારના રોજ સવારે 9:00થી 11:30 વાગ્યા સુધી પ્રેરણાદાયી છાત્રા સંમેલન યોજાશે. કાર્યક્રમ માટે સવારે 8:30 કલાકે પંજીકરણ અને બેઠક વ્યવસ્થા શરૂ થશે. સંમેલનનું આયોજન પટેલ સમાજ વાડી, શક્ત શનાળા, તા. મોરબી, જિ. મોરબી ખાતે કરવામાં આવ્યું છે.
કાર્યક્રમના પ્રથમ ઉદઘાટન સત્રમાં “સોશિયલ મીડિયા ઔર હમ મેં એક ઉત્તમ છાત્રા” વિષય પર જોધપુરથી પધારેલા મહિલા સમન્વય અ.ભા. સહસંયોજિકા પુષ્પાજી જાંગિડ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. ત્યારબાદ બીજા સત્રમાં “વૈભવશાલી રાષ્ટ્ર નિર્માણ મેં યુવાઓ કી ભૂમિકા મેં અદ્યતન કૈસે બનુંગી?” વિષય પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અ.ભા. પ્રચાર ટોળીના સદસ્ય મુકુલ કાનિટકર વક્તવ્ય આપશે.
અંતિમ સત્રમાં પ્રશ્નોત્તરી, સમાપન તેમજ અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં જોડાવા માટે અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે. મોરબી જિલ્લા સહ સંયોજિકા મિતલબેન પરેચા અને જિલ્લા સંયોજિકા નેહા વૈભવ દ્વારા દીકરીઓને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આ સંમેલનમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી અને નોંધણી માટે ઉષાબેન પંડ્યા (97147 61725), જાગૃતિબેન શુક્લ (99045 97241) અથવા પુષ્પાબેન ચિકાણી (95106 33288)નો સંપર્ક કરી શકાશે.










