Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહીટવેવથી બચવા માટે ડિઝાસ્ટર શાખા દ્વારા માર્ગદર્શિકા જારી

હીટવેવથી બચવા માટે ડિઝાસ્ટર શાખા દ્વારા માર્ગદર્શિકા જારી

મોરબી: પ્રવર્તમાન સમયમાં આકસ્મિક રીતે વાતાવરણમાં થયેલ ફેરફારના કારણે વધુ પડતી ગરમી –  લૂ ની અસરથી બચવા માટે મોરબી જિલ્લા ડિઝાસ્ટર શાખા દ્વારા જન હિતમાં લોકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા લૂ થી બચવા માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે રીતે સમગ્ર જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ખેતરમાં કામ કરતાં શ્રમિકો રોડ કામ કરતા તથા બાગ બગીચા નું કામ કરતા શ્રમિકોને સન સ્ટ્રોક લૂ લાગવાની શક્યતાઓ વધારે રહેલી છે.

લૂ લાગવાના/સનસ્ટ્રોકના લક્ષણોની વાત કરીએ તો, દર્દીને જયારે સન સ્ટ્રોક લાગે ત્યારે તેને માથું દુઃખવું, પગની એડીઓમાં દુઃખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલ્ટી ઉબકા આવવા, ચક્કર અને આંખે અંધારા આવી જાય, બેભાન થઈ જવું વગેરે પ્રારંભિક લક્ષણો જોવા મળી શકે છે. અતિ ગંભીર કિસ્સામાં દર્દીને ખેંચ પણ આવી શકે છે.

લૂ થી બચવા યોગ્ય પગલાં લેવા જરૂરી છે. લૂ થી બચવા દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું, વારંવાર પાણી પીવું જોઈએ અને શકય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું જોઈએ. લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. જેવા પીણાં પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. ગરમીમાં શકય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને દિવસ દરમિયાન ઠંડકવાળી જગ્યાએ અને છાયામાં રહેવું જોઈએ.

ગરમીની ઋતુમાં સફેદ રંગના સુતરાઉ કાપડના ખુલતા અને આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા જોઈએ. ટોપી, ચશ્મા, છત્રીનો મહત્તમ રીતે ઉપયોગ કરવો જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો, અશકત અને બીમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ. બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો જોઈએ નહીં તેમજ બજારમાં વેચાતા બરફનો ઉપયોગ પણ ટાળવો જોઈએ.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ગરમીની ઋતુમાં વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત પીવું જોઈએ. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી જોઈએ. આ ઉપરાંત તરબુચનું દરરોજ સેવન કરવું જોઈએ. લૂ લાગવાના અમુક કિસ્સામાં જો તાત્કાલિક રીતે દર્દીને સારવાર ન મળે તો હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે જેથી આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવો જોઈએ.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments