(બળદેવ ભરવાડ, હળવદ)
મોરબી : “સફળ જીવન માટે સ્વાસ્થ્ય એ પ્રથમ સંપત્તિ છે” – આ સૂત્રને સાકાર કરતા ધ્રાંગધ્રાના પેડલ પ્રવાસી સાઇકલિંગ ગ્રુપનો અનોખો નવતર પ્રયોગ સૌ માટે પ્રેરણાદાયક છે. આ ગ્રુપના સભ્યોમાં 15 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના તમામ વયના લોકો સામેલ છે. આજ સુધી આ ગ્રુપે મળીને આશરે ચાર લાખ કિલોમીટરથી વધુ સાયકલિંગ પૂર્ણ કર્યું છે,
જ્યારે દરેક સભ્યે ન્યૂનતમ 8000 કિ.મી.થી વધુ સાયકલિંગ કરી પોતાનું સ્વાસ્થ્ય મજબૂત બનાવ્યું છે. મુળીધામ, માનપુરધામ, ખારેશ્વર મહાદેવ, ઈશ્વરિયા મહાદેવ નારીચાણા, સાળંગપુરધામ, અક્ષરધામ વગેરે પવિત્ર સ્થળોએ તેમની રાઇડ્સ સતત યોજાય છે. તાજેતરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે તેમણે એક અનોખો ઉપક્રમ હાથ ધર્યો છે. જેગડવા મહાદેવ મંદિરે વૃક્ષારોપણ. પૂજારીજી તથા ગામના નાગરિકોના સહયોગથી તેમણે વૃક્ષો વાવીને તેમનું જતન કરવાનો સંકલ્પ કર્યો છે. આજે આ પેડલ પ્રવાસી સાયકલિંગ ગ્રુપ અમારી શ્રી પાંડતીરથ પ્રાથમિક શાળામાં પધાર્યું. તેમના આગમનથી સમગ્ર શાળાનું વાતાવરણ હરખભર્યું બની ગયું. બાળકોને તેમણે માર્ગદર્શન આપ્યું કે, વહેલા ઉઠો,વ્યસનોથી દૂર રહો, નિયમિત કસરત કરો, સારા મિત્રો સાથે પોઝિટિવ વાતાવરણમાં રહો.તેમની આ મુલાકાત બદલ શાળાના સરપંચ તથા આચાર્યએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને ગ્રુપના અનોખા પ્રયાસોની પ્રશંસા કરી.“વૃક્ષો વાવો, જીવન બચાવો. સાયકલ ચલાવો, સ્વાસ્થ્ય સુધારો.” – આ ગ્રુપ માત્ર પોતાના જીવનમાં નહીં, પરંતુ સમગ્ર સમાજમાં આ સંદેશ જીવંત કરી રહ્યું છે. પાંડતીરથ પ્રાથમિક શાળા તેમની આ મુલાકાત તથા ઉપક્રમ માટે હૃદયથી આભાર વ્યક્ત કરે છે.













