માતાજીના વિવિધ સ્વરૂપમાં દીકરીઓની દિવ્ય સવારી : આઠમા નોરતે ઝરમર વરસાદ વચ્ચે મહોત્સવમાં અનેરો ધાર્મિક માહોલ સર્જાયો
મોરબી : મોરબીમાં તહેવારોની વિશિષ્ટ ઉજવણી અને સેવા કાર્યો માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજીત સંકલ્પ નવરાત્રીમાં આઠમા નોરતે ખોખરા હનુમાન ધામમાં ઋષિકુમારોએ શાસ્ત્રોકત મંત્રોચ્ચારથી મહાઆરતી કરી વાતાવરણને દિવ્ય બનાવી દીધુ હતું. સાથોસાથ દીકરીઓએ પણ માતાજીના સ્વરૂપો ધારણ કરી સાક્ષાત માતાજીની હયાતીની પ્રતીતિ કરાવી હતી.
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં બહેનો નિઃશુલ્ક પ્રવેશ મેળવી સલામત અને ધાર્મિક વાતાવરણમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહી છે. ગઈકાલે આઠમા નોરતે વરસાદી વાતાવરણ વચ્ચે પણ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે રમ્યા હતા. ખાસ તો આ દિવસ ઉપસ્થિત તમામ લોકો માટે ખૂબ યાદગાર રહ્યો હતો.
કારણકે ખોખરા હનુમાન ધામના ઋષિ કુમારોએ એકસાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી માતાજીની મહાઆરતી કરીને અલૌકિક વાતાવરણ સર્જ્યું હતું. આ ઉપરાંત દીકરીઓએ વિવિધ માતાજીના સ્વરૂપ ધારણ કર્યા હતા. તેમની દિવ્ય સવારી ગ્રાઉન્ડ ઉપર જોઈને લોકો ભાવવિભોર થઈ ગયા હતા. યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે સંકલ્પ નવરાત્રી મહોત્સવ એ માતાજીની આરાધનાનો ધાર્મિક ઉત્સવ છે. ત્યારે આઠમા નોરતે મહોત્સવ દરમિયાન યોજાયેલ ધાર્મિક કાર્યક્રમો અહીં ઉપસ્થિત તમામ માટે એક અલૌકિક અનુભવ રહ્યો હતો.


















