મોરબી: શ્રી સોમનાથ મહાદેવ મંદિર પર થયેલા આક્રમણના ૧,૦૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર નિમિત્તે સમગ્ર ભારતવર્ષમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ શ્રદ્ધા, ભક્તિ અને ગૌરવભાવ સાથે ઉજવાઈ રહ્યું છે. આ પાવન પર્વના ભાગરૂપે મોરબી ખાતે સ્થિત શ્રી સાગરેશ્વર મહાદેવ મંદિરે ૭૨ કલાકના અખંડ ઓમકાર જાપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દેવાધિદેવ મહાદેવના દર્શન-પૂજન કર્યા હતા તેમજ મોરબી જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા. આ અવસરે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, “આ અખંડ ઓમકાર જાપ ભારતની શાશ્વત સંસ્કૃતિ, અડગ શ્રદ્ધા અને અચલ સ્વાભિમાનનું જીવંત પ્રતીક છે. સોમનાથનો ઇતિહાસ દરેક ભારતીય માટે પ્રેરણાસ્ત્રોત છે.” નગરજનો, ભક્તો અને સાધુ-સંતોની વિશાળ ઉપસ્થિતિ તેમજ ઉત્સાહભર્યા સહયોગથી આ અખંડ જાપ અત્યંત ભવ્ય, ભાવસભર અને સ્મરણિય બન્યો હતો. સમગ્ર પરિસર ભક્તિભાવ, ઓમકારના નાદ અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા બાદ વર્ષ ૧૯૪૭માં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સોમનાથ મંદિરના પુનઃનિર્માણની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી હતી અને વર્ષ ૧૯૫૧માં તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે મંદિર ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હાલ તા. ૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન ઉજવાઈ રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત સોમનાથ મંદિરના ૧૦૦૦ વર્ષના અતૂટ આસ્થાભર્યા ઇતિહાસ અને પૂર્વજોના બલિદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવી રહ્યા છે.














