મોરબી : આજે તારીખ 11 જાન્યુઆરીના રોજ મોરબી-માળિયા-ટંકારા તાલુકા વણકર સેવા સમિતિની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આરંભમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત સભાસદોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ રામજીભાઈ ધાવડાએ સમાજ જાગૃતિના સંદર્ભમાં આગામી વર્ષમાં પણ ત્રણેય તાલુકાના સભાસદોનો સાથ સહકાર મળતો રહેશે એવી અભિલાષા વ્યક્ત કરી હતી. વર્ષના નાણાકીય હિસાબનું સરવૈયું ટ્રસ્ટના મંત્રી જે.ડી.સોલંકીએ રજૂ કર્યું હતું, જેને ઉપસ્થિત સભ્યોએ બહાલી આપી હતી.
આ સાધારણ સભામાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધી, મોરબી જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક, અતુલભાઈ છાસિયા, સેન્ટ્રલ યુનિવર્સિટી, ગાંધીનગરના પ્રોફેસર ડૉ. રાજેશ મકવાણા અને સમિતિના સલાહકાર સદસ્ય ડી.બી.પરમારનું સાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખ રામજીભાઈ ધાવડાના પરામર્શથી આ સમિતિના કર્મઠ કારોબારી સદસ્ય કે.કે. ભંખોડિયા, દાનાભાઈ ચૌહાણ, દિનેશભાઈ પરમારે સક્રિય સહયોગ આપ્યો હતો. સમાજમાં સંવાદિતા થાય સાથ, સેવા અને સહકારથી આગામી વર્ષમાં પણ વધુ ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય એવા હકારાત્મક અભિગમથી આ સંગઠન વધુ મજબૂત બને એવા ભાવ સાથે ભોજન બાદ સભા સંપન્ન થઈ હતી.













