મોરબીના બાપાસીતારામ ચોકમાં આજે રાત્રીના આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજવામાં આવી હતી. જેમાં ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી સહિતના નેતાઓએ સભા ગજવી હતી. આ સભામાં કડકડતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. સભામાં આપના નેતાઓએ ભાજપ ઉપર શાબ્દિક પ્રહારો કરી બદલાવ લાવવા આમ આદમી પાર્ટીમાં સામેલ થવા યુવાનોને હાંકલ કરી હતી.
આ સભામાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે સુવાના સમયે તમે જાગો છો, એટલે એવું લાગે છે વિસાવદરવાળી અહીં જ થવાની છે. હું નેતા તરીકે નહિ દીકરા તરીકે તમારો આત્મા જગાડવા આવ્યો છું. 30 વર્ષ પુરા થયા, ભાજપની સરકાર બનતી આવી, નગરપાલિકા એમની, જિલ્લા પંચાયત એમની, વિધાનસભા એમની. આપણા જ લોકોએ મત આપી તેમને બેસાડ્યા. પણ 30 વર્ષ પછી આપણે પાછળ વળીને જોયું કે આપણને શુ મળ્યું, ભાજપની પરિસ્થિતિ બદલાઈ પણ આપણી નહીં. હવે શું કરવું જોઈએ ક્યાં નેતાની આગેવાનીમાં આગળ વધવું તે વિચારવું જોઈએ.
ગોપાલ ઇટાલિયાએ સિરામિક ઉદ્યોગ વિશે જણાવ્યું કે આખી દુનિયામાં અહીંની ટાઇલ્સ વેચાઈ છે. સિરામિક ઉધોગે લાંબી સફર કરી, પણ આમાં સરકારનો ટેકો કેટલો અને સમાજનો કેટલો ? સરકાર કઈ મદદ ન કરે, ખાલી નડવાનું બંધ કરી દયે, તો પણ 10 ઘણો ધંધો વધી જાય. જીપીસીબી, આઇટી, જીએસટી કોઈ ન આવે એટલે ઉદ્યોગો પોતાની રીતે આગળ આવે. જીપીસીબીએ કોલગેસ માટે પરમિશન આપી, લાઇસન્સ આપ્યા, પછી ઉદ્યોગોએ કોલગેસ વાપર્યો. હવે કોલગેસ બંધ કરાવ્યું એનો વાંધો નથી પણ અગાઉ જેટલું વાપર્યું તેના દંડ ફટકાર્યા. એમને પ્રદૂષણથી વાંધો નથી ઉદ્યોગોની માથે લટકતી તલવાર રાખી છે. ગોપાલ ઇટાલિયા આક્ષેપ કર્યો હતો કે કાયમ ભાજપને મત આપ્યા કરો અને ડર્યા કરોની નીતિ ભાજપ અપનાવે છે. વડાપ્રધાન સહિતના નેતાઓ કહે છે કે સ્વદેશી અપવાનો, પરંતુ સ્વદેશી ટાઇલ્સ બનાવનારાઓને તો સગવડ કરો. ટાઇલ્સ જીવનજરૂરી વસ્તુ છે. વધુમાં વધુ 5 ટકા ટેક્સ નાખવો જોઈએ. આ મોજ શોખની વસ્તુ નથી કે તેના ઉપર 18 ટકા ટેક્સ નાખવામાં આવે.
આપ નેતાઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ ચૂંટણી કેમ જીતાય તેમાં માસ્ટર માઇન્ડ છે. પણ ચૂંટણી જીત્યા પછી પ્રજા માટે શું કરવું તે ખબર નથી. સાથે કોગ્રેસ પક્ષ પર પણ આકરા પ્રહારો કર્યા હતા અને અંતમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે મહાપાલિકાની ચૂંટણીમાં અમારા ઉમેદવાર ભાજપ કરતા 1000 ગણા સારા હશે. નામથી કે ફોટોથી તમે નહિ ઓળખો, સામાન્ય માણસ હશે, ઈમાનદાર હશે અને લોકોના કામ કરશેએ હું ખાતરી આપું છું.













