મયુર રાવલ હળવદ
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સહયોગથી તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત “પર્યાવરણ મિત્ર એવોર્ડ અર્પણ સમારોહ”નું ભવ્ય આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.આ તકે હળવદ નાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પર્યાવરણ મિત્ર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.આ સમારોહનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, જળ સંવર્ધન, સ્વચ્છતા તેમજ પ્રકૃતિ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવામાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવાનો હતો. કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત આગેવાનો, સમાજસેવકો તથા સદભાવના વૃદ્ધાશ્રમ સાથે સંકળાયેલા સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ માટે સતત કાર્ય કરી રહેલા પર્યાવરણ પ્રેમીઓને “પર્યાવરણ મિત્ર એવોર્ડ” અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે વૃદ્ધાશ્રમના વડીલોની હાજરીએ કાર્યક્રમને ભાવનાત્મક અને પ્રેરણાદાયી બનાવ્યો હતો.
આ અવસરે વક્તાઓએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે પર્યાવરણની સુરક્ષા માત્ર સરકારની જવાબદારી નથી પરંતુ સમાજના દરેક નાગરિકે પ્રકૃતિ પ્રત્યે જવાબદાર બનવાની જરૂર છે. વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી અને કુદરતી સંસાધનોના સંરક્ષણ દ્વારા જ ભવિષ્યની પેઢી માટે સુરક્ષિત પર્યાવરણ બનાવી શકાય તેમ છે.
કાર્યક્રમના અંતે પર્યાવરણ સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લેવાઈ હતી તેમજ આગામી સમયમાં વધુ જાગૃતિ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સમારોહે ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં પર્યાવરણ પ્રત્યે સકારાત્મક સંદેશ ફેલાવ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.












