મોરબીના રહેવાસી પરેશભાઈ અમરશીભાઈ કાસુન્દ્રા સાથે થયેલી છેતરપિંડીના મામલે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા અદાલતે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. લોનના બહાને વીમો પધરાવતી કંપનીને વ્યાજ સાથે રકમ પરત કરવા હુકમ કરવામાં આવ્યો છે.
મળતી વિગત મુજબ બજાજ ફાઈનાન્સ દ્વારા 6.5 ટકાના દરે લોન આપવાની લાલચ આપી ગ્રાહકને ‘ભારતી એક્ષા લાઈફ ઈન્સ્યોરન્સ’ની પોલિસી લેવડાવવામાં આવી હતી. ગ્રાહકે લોન મેળવવાની આશાએ 1,20,000/- નું પ્રીમિયમ ભર્યું હતું, તેમ છતાં કંપનીએ લોન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કંપનીએ એવું બહાનું કાઢ્યું હતું કે ત્રણ વર્ષના સતત પ્રીમિયમ ભર્યા બાદ સરેન્ડર વેલ્યુ પર જ લોન મળી શકે, જેના કારણે ગ્રાહક પોતે છેતરાયા હોવાનું અનુભવ્યું હતું.
આ અન્યાય સામે પરેશભાઈએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફતે ગ્રાહક અદાલતમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેસની વિગતો મુજબ, ગ્રાહકને વધુ લોનની લાલચ આપી અન્ય પોલિસીઓ પણ લેવડાવવામાં આવી હતી, જેનું પ્રીમિયમ પરત મળ્યું હતું પરંતુ મુખ્ય 1,20,000/- ની રકમ કંપનીએ પરત આપવા માટે ગલ્લાતલ્લા કર્યા હતા. ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆતો અને દલીલોને ગ્રાહક અદાલતે ગ્રાહ્ય રાખી હતી.
ગ્રાહક અદાલતે આ કેસમાં કડક વલણ અપનાવતા ‘ભારતી એક્ષા લાઈફ ઈન્સ્યોરન્સ કંપની’ને આદેશ કર્યો છે કે, ગ્રાહકની પ્રીમિયમની રકમમાંથી પ્રપોસનેટ કપાત કરી બાકીની રિફન્ડ રકમ 11/07/24 થી 9 ટકાના ચડત વ્યાજ સાથે એક માસની અંદર ચૂકવી દેવી. જો નિયત સમયમાં આ ચુકવણી કરવામાં નહીં આવે, તો કંપનીએ 9 ટકાને બદલે 12 ટકા વ્યાજ ચૂકવવું પડશે. આ ઉપરાંત, ગ્રાહકને થયેલા માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચ પેટે વધારાના 5,000 ચૂકવવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.










