મોરબી : શહેરમાં લાંબા સમયથી ચાલી આવતી FM રેડિયો સ્ટેશનની માંગ હવે પૂર્ણ થતી દેખાઈ રહી છે. પ્રસાર ભારતી સચિવાલય દ્વારા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની રજૂઆતના અનુસંધાને લખાયેલ પત્રમાં મોરબી FM સ્ટેશન પ્રોજેક્ટની પ્રગતિ અંગે મહત્વની વિગતો જાહેર કરવામાં આવી છે.
પ્રસાર ભારતીના પત્ર મુજબ ‘BIND 2021-26’ યોજના હેઠળ મોરબી શહેર માટે 5 કિલોવોટ ક્ષમતાનું FM સ્ટેશન મંજૂર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે યોગ્ય જમીનની ઓળખ કરવામાં આવી છે અને રાજ્ય પ્રશાસન સાથે જમીન ફાળવણી માટે ચર્ચા ચાલી રહી છે. પ્રસાર ભારતી દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આ જમીન વિનામૂલ્યે અથવા નજીવા દરે ફાળવવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત FM સ્ટેશન માટે જરૂરી ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. પ્રસાર ભારતીના જણાવ્યા મુજબ 5 કિલોવોટ FM ટ્રાન્સમીટર, 6-બે એન્ટેના, RF કેબલ તેમજ ઓડિયો પ્રોસેસર જેવા આવશ્યક સાધનોનો ઓર્ડર મૂકી દેવામાં આવ્યો છે અને હાલમાં તેની સપ્લાયની પ્રક્રિયા ચાલુ છે.
પ્રસાર ભારતી દ્વારા વધુમાં જણાવાયું છે કે નવું FM સ્ટેશન કાર્યરત ન થાય ત્યાં સુધી મોરબી જિલ્લાના નાગરિકો આકાશવાણીની વિવિધ સેવાઓનો લાભ લઈ શકે છે. જેમાં ‘વિવિધ ભારતી’ કાર્યક્રમો તથા લાઈવ ન્યૂઝનો સમાવેશ થાય છે, જે DD FreeDish, ‘newsonAIR’ મોબાઇલ એપ તેમજ પ્રસાર ભારતીના નવા ‘WAVES’ OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે આ સેવાઓ શહેરી ઉપરાંત ગ્રામિણ વિસ્તારોમાં પણ સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.










