મયુર રાવલ, હળવદ
ગાંધીધામ : શ્રીજી કૃપા સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષ ગાંધીનગર તથા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા ભુજની પ્રેરણાથી, સરકારી આયુર્વેદ દવાખાનું રામબાગ–ગાંધીધામના ઉપક્રમે યોજાયો હતો.
કેમ્પમાં મેડિકલ ઓફિસર તથા નિષ્ણાત ડોક્ટરો દ્વારા વિવિધ રોગોની તપાસ અને સારવાર કરવામાં આવી હતી. જેમાં પેટના રોગો જેમ કે ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત, ઝાડા-ઉલ્ટી, સાંધા તથા સ્નાયુના રોગો—સાંધાની પીડા, મણકાની તકલીફ, સાયટિકા, ચામડીના રોગો જેમ કે ખરજવું, દાદર, સોરાયસિસ, શીળસ, ઉંદરી, શ્વાસના રોગો—શરદી, ઉધરસ, એલર્જી, દમ તેમજ સ્ત્રીરોગો—રતવા, ઉનવા, સફેદ પાણી પડવું, નબળાઈ, વંધ્યત્વ સહિતની તકલીફોના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ડાયાબિટીસ, માઇગ્રેન, પથરી, કોલેસ્ટેરોલ તથા સામાન્ય નબળાઈ જેવી તકલીફો અંગે માર્ગદર્શન આપી નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કુલ ૧૧૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પનું આયોજન આઈ શ્રી ખોડીયાર કૃપા, પ્લોટ નં. ૨૩૮/૪, વોર્ડ નં. ૮/એ, સુભાષનગર, ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિજયભાઈ રાઠોડ તથા વૈભવીબેન ગોડના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા મીનાક્ષીબેન દવે, સંતોષબેન શર્મા, હીનાબેન કોઠારી, સરોજસિંહ, દેવેન્દ્ર શર્મા, ગર્વ દવે, હર્ષદ કોઠારી, મોહનસિંહ, ગૌરવ દવે, સંજય ચૌધરી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.















