મોરબી: CGWB ના ઉચ્ચ અધિકારીઓએ ઉદ્યોગકારોને ગ્રાઉન્ડ વોટર પરમિશન અને શો-કોઝ નોટિસ અંગેના પ્રશ્નોનું નિરાકરણ કર્યું, તારીખ: ૦૭/૦૨/૨૦૨૬ મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આજરોજ એસોસિએશન હોલ ખાતે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB), WCR – અમદાવાદના સહયોગથી એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ અને ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહેલા CGWB ના પ્રાદેશિક નિયામક ડૉ. રતિકાંત નાયક, સાયન્ટિસ્ટ બિસ્વરૂપ મહાપાત્ર, સાયન્ટિસ્ટ સદ્દામ હુસૈન અને STA પ્રબોધ કુમાર કુશ્વાહાએ ઉદ્યોગકારોને ગ્રાઉન્ડ વોટરના નિયમો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સેશનમાં મુખ્યત્વે સિરામિક ઉદ્યોગકારોને સ્પર્શતા ગ્રાઉન્ડ વોટર પરમિશન અને NOC પ્રક્રિયા જેવા સંવેદનશીલ મુદ્દાઓની વિગતવાર છણાવટ કરવામાં આવી હતી. અધિકારીઓએ ઓનલાઇન પોર્ટલના માધ્યમથી લાઈવ માહિતી આપી હતી કે જે ઉદ્યોગકારો ગ્રાઉન્ડ વોટરનો વપરાશ નથી કરતા છતાં તેમને ‘શો કોઝ’ (Show Cause) નોટિસ મળી હોય, તો તેમણે પોર્ટલ પર ડેટા ફિલઅપ કરીને તે નોટિસ કેવી રીતે રદ કરાવવી.
ઉપરાંત, ગ્રાઉન્ડ વોટર માટે નવી NOC કેવી રીતે મેળવવી અને જો NOC પેન્ડિંગ હોય તો આગળની કાર્યવાહી શું કરવી, તે અંગેના ઉદ્યોગકારોના મુંઝવતા પ્રશ્નોનું અધિકારીઓ દ્વારા સચોટ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
આ જાગૃતિ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સિરામિક ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી અને અંતમાં એસોસિએશન દ્વારા તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.










