મોરબી: આગામી તા. 15/02/2026 ને રવિવારના રોજ મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે મોરબીના રાજમાર્ગો પર હર હર મહાદેવના નાદ સાથે સિધ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત સતવરા સમાજ અને જય મહાકાલ સતવરા મિત્ર મંડળ દ્વારા સતત 8માં વર્ષે આ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ શોભાયાત્રા સવારે 09:00 કલાકે શક્તિધામ મંદિર, માધાપર અજરોડ ખાતેથી ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરશે. જે શહેરના વિવિધ મુખ્ય માર્ગો જેવા કે, શક્તિધામ મંદિર ખાતે થી પ્રસ્થાન કરશે. ત્યારબાદ જડેશ્વર મહાદેવ મંદિર, શાક માર્કેટ, નેહરુ ગેઈટ ચોક, વાઘપરા, બાપા સીતારામ ચોક, ભક્તિનગર સર્કલ થઈ મોઢેશ્વર મહાદેવ મંદિર (મોરબગતની વાડી) ખાતે પૂર્ણાવતી થશે.
જય મહાકાલ સતવરા મિત્ર મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ કંજારીયા અને મંડળના સભ્ય દયારામભાઈ દલવાડીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ શોભાયાત્રામાં સતવરા સમાજના ભાઈઓ-બહેનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાશે. સાથે જ તેમણે મોરબીના સમસ્ત સનાતન હિન્દુ સમાજને પણ આ પાવન પ્રસંગે શોભાયાત્રામાં જોડાઈ શિવમય બનવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. શોભાયાત્રામાં આકર્ષક ફ્લોટ્સ અને શણગારેલા વાહનો આકર્ષણનું કેન્દ્ર બનશે. રૂટ દરમિયાન ઠેર-ઠેર સેવાભાવી સંસ્થાઓ અને સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત અને સેવા પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે.









