મોરબી: વર્તમાન સમયમાં જ્યારે લગ્નપ્રસંગોમાં લાખો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવતો હોય છે, ત્યારે મોરબીના ક્ષત્રિય સમાજના અગ્રણીએ પોતાના પુત્રના લગ્ન નિમિત્તે માનવસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોટા ખીજડીયા નિવાસી રઘુવીરસિંહજી કરણસિંહજી ઝાલા (R.K.) દ્વારા કુમાર દેવમસિંહજીના લગ્નપ્રસંગે જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં આખો દિવસ મહાપ્રસાદ યોજીને સેવાની સુવાસ ફેલાવી છે.
મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલું જલારામ પ્રાર્થના મંદિર છેલ્લા ઘણા સમયથી ‘કોઈ ભૂખ્યું ન સુવે’ ના સંકલ્પ સાથે બપોરે અને સાંજે સદાવ્રત ચલાવી રહ્યું છે. આ સેવાયજ્ઞમાં સહભાગી થઈને ક્ષત્રિય અગ્રણી રઘુવીરસિંહજી ઝાલા (R.K.) એ પોતાના પુત્ર કુંવર દેવમસિંહજીના લગ્ન નિમિત્તે આખો દિવસ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર તમામ લોકો માટે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું. ઝાલા પરિવારની આ પહેલને પગલે લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં ખોટા ખર્ચ કરવાને બદલે જરૂરિયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરવાના વિચારને લોકો આવકારી રહ્યા છે.
અગ્રણીઓએ પાઠવી શુભકામનાઓ
ઝાલા પરિવારના આ પ્રેરક કાર્ય બદલ પરિવારના મોભી કરણસિંહજી ધીરૂભા ઝાલા, રઘુવીરસિંહજી ઝાલા (R.K.), કિશોરસિંહજી ઝાલા અને દિલાવરસિંહજી ઝાલા સહિતના સભ્યોને જલારામ ધામના અગ્રણીઓએ બિરદાવ્યા હતા. આ તકે જલારામ સેવા મંડળના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ (પ્રમુખ), ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ જગ, નીરવભાઈ હાલાણી, જયંતભાઈ રઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કિશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હિતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દિનેશભાઈ સોલંકી, મનીષભાઈ પટેલ સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા અને ઝાલા પરિવારની આ સેવાકીય ભાવનાની પ્રશંસા કરી હતી.











