મોરબી: હાલમાં દિલ્હી ખાતે સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આજે રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાએ દેશના માનનીય ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન સાથે વિશેષ સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત ગુજરાતના ગૌરવ સમાન કાઠિયાવાડી અશ્વોની યશગાથાને ઉજાગર કરનારી બની રહી હતી.
આ અવસરે સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ ઉપરાષ્ટ્રપતિને કાઠિયાવાડી અશ્વ વિશેની દુર્લભ અને વિસ્તૃત માહિતી ધરાવતું ‘The Majestic Kathiawadi’ નામનું પુસ્તક ભેટ સ્વરૂપે અર્પણ કર્યું હતું. મુલાકાત દરમિયાન સાંસદે અશ્વોની શ્રેષ્ઠ નસલ ગણાતા કાઠિયાવાડી અશ્વની શૌર્યગાથા, તેની અનોખી શારીરિક વિશેષતાઓ અને તેના ઐતિહાસિક મહત્વ વિશે ઉપરાષ્ટ્રપતિને માહિતગાર કર્યા હતા. અશ્વ સંવર્ધન ક્ષેત્રે હાલમાં ચાલી રહેલા પ્રયાસો અને ભવિષ્યમાં આ પ્રજાતિના રક્ષણ માટે કેવા અસરકારક પગલાં લઈ શકાય તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.









