મોરબી : મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા ચામુંડાનગરમાં રહેતા સામાન્ય વર્ગના ચાવડા સુરેશભાઈ રામજીભાઈની વ્હાલસોયી પુત્રી હર્ષાબેન કુલદીપભાઈ રાઠોડનો યોગુનાયોગ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જન્મદિવસ હોવાથી નારી શક્તિ વિશે સમાજને વિસ્તૃત જ્ઞાન આપવા પ્રેમાળ પુત્રીના જન્મદિવસને યાદગાર બનાવવા સત્સંતસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સત્સંગ સભામાં પીપળીમાં આવેલ કિરણ આશ્રમના સંત કિરણબેને પરમ આધ્યાત્મિક વાણીની સાથે કુટુંબ, સમાજ અને દેશમાં નારી યોગદાનનો મહિમાગાન કર્યો હતો. સિક્કાની બે બાજુની જેમ પુરુષ પ્રધાન સમાજમાં ક્યાંકને ક્યાંક સ્ત્રીનું હિત અને સ્વમાન જળવાતું ન હોય તો બીજીતરફ કેટલીક સ્ત્રીઓના અહંકારથી આખા ઘરનું સુખ હણાય જતું હોય અને કુટુંબ ક્લેશમાં મોટાભાગે સાસુ વહુ, નંણદ ભોજાઈ સહિતની ઘરની સ્ત્રીઓના એકબીજાના વર્ચસ્વ અને સ્વમાનનો પ્રશ્ન જવાબદાર હોય છે. એટલે સ્ત્રી ધારે તો ઘરને સ્વર્ગ બનાવી શકે અને નર્ક પણ બનાવી શકે, એટલે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવી હોય દરેક સ્ત્રીને સમજણ કેળવવાની શીખ આપી હતી. આ તકે હર્ષાબેને કહ્યું હતું કે, મારા પિતા સુરેશભાઈએ સામાન્ય આવકમાં પણ સારું શિક્ષણ અપાવી ઉચ્ચ સંસ્કાર સાથે જીવનનું ઘડતર કરી સાસરે વળાવી હતી.મારા પિતાએ મને વિદાય વખતે કહ્યું હતું કે, હવેથી સાસુ સસરા જ તારા માતાપિતા છે અને એમની ખુશીમાં જ તારું સુખ સમાયેલું છે. એટલે એમને માબાપ સમજીને એમની સેવામાં તારું જીવન અર્પણ કરી દેજે અને એમની લાગણી ક્યારેય દુભાય એવી વાણી કે વર્તન કરીશ નહિ. આ સંસ્કારને આત્મસાત કર્યા એટલે મારો ઘરસંસાર એકદમ સુખી છે. મારા માતાપિતા જેવા સાસુસસરા મને પ્રેમાળ મળ્યા એ બદલ હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું.
સતસંગ સભામાં સુરેશભાઈ ચાવડાએ પોતાના પ્રવચનમા દરેક સ્ત્રી ઘરની લક્ષ્મી હોય એનું માન સન્માન જાળવવા અને પુત્રવધુને પણ પુત્રી જેવો જ સ્નેહ આપવાની સાથે ઘરની દરેક સ્ત્રીને એકબીજાની પ્રત્યે આદર ભાવ રાખી અહમ ભૂલી પરસ્પરની ભાવના સમજે તો મોટાભાગના ઘરકાંકસને ટાળી શકાય તેમ જણાવ્યું હતું. તેમજ સંત ડુંગર સાહેબે આત્માથી પરમાત્મા સાથે કેવી રીતે અનુસંધાન સાધીને પરમ અધ્યતમિકતા પ્રાપ્ત કરી શકાય ? તેનું ઊંડું ચિંતન મનન કર્યું હતું. આ ઉપરાંત સંતભાઈ મહેશ્વરી, લક્ષ્મણભાઈ પ્રજાપતિ, સિવિલ હોસ્પિટલના નિવૃત અધિક્ષક મોરબી
પરીવર્તન પરિવાર પ્રમુખ ડો.એમ.બી.પરમાર તેમજ Lic ના ધવલભાઈ સેજપાલ અને તેમના ધર્મપત્નીએ વિશેષ હાજરી આપી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. જ્યારે મોરબી રાધાસ્વામી સત્સંગ મંડળના સંચાલક અને હર્ષાબેન સસરા દાનાભાઈ રાઠોડે પણ જીવનની ફિલસુફી રજૂ કરી સાથેસાથે સમાજમાં નારીના મહત્વ અને દીકરી તેમજ પુત્રવધુ વચ્ચે કોઈ જ પ્રકારનો ભેદ ન રાખવા અને ઘરના દરેક મતભેદ, નાના મોટા ક્લેશ સમજણથી ઉકેલવાની હિમાયત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર એડવોકેટ & નોટરી નિર્મલ જાડેજાએ સુરેશભાઈ ચાવડાની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં ભારે સંઘર્ષ કરીને બે પુત્રો અને પુત્રીને સ્નેહથી ઉછેરી સારા સંસ્કાર સાથે ઉચ્ચ શિક્ષણ અપાવી જે રીતે તેમના જીવનનું ઘડતર કર્યું અને ખાસ તો એમણે પુત્રી અને પુત્રવધુ વચ્ચે કોઈ અંતર ન રાખીને તેમના પરિવાર તથા દીકરીના પરિવારમાં સમજણ અને સંસ્કારની જે સુવાસ પ્રસરાવી છે તેને બધાને જીવનમાં ઉતારવાની હાકલ કરી હતી.

















