ધારાસભ્યશ્રીએ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આદર્શ નાગરિક તરીકે બજાવી ફરજ; મતદારોને લોકશાહી સશક્ત કરવા કરી અપીલ
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત આજે સમગ્ર મોરબી જિલ્લામાં સવારથી જ ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. લોકશાહીના આ પવિત્ર અવસરે ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા આજે મોરબીમાં લીલાપર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા.
ધારાસભ્યશ્રીએ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે નિયત મતદાન મથક પર પહોંચીને સહપરિવાર મતદાન કર્યું હતું. મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ તેમણે પોતાની આંગળી પર શાહીનું નિશાન ગર્વભેર પ્રદર્શિત કરી અન્યો માટે પ્રેરણા પૂરી પાડી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, “સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ પ્રજાકીય પ્રશ્નોના ઉકેલ અને સર્વાંગી વિકાસ માટેનો પાયો છે. લોકશાહીના આ પર્વમાં દરેક નાગરિકનો મત ખૂબ મહત્વનો છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મોરબીને વધુ સુવિધાસભર અને સશક્ત બનાવવા માટે દરેક મતદારે જાગૃત બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે યુવા અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારો સહિત સૌને મોટી સંખ્યામાં મતદાન મથકે પહોંચવા અનુરોધ કર્યો હતો.
ધારાસભ્યશ્રીના મતદાન બાદ સ્થાનિક મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. લીલાપર મતદાન મથક પર પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદાર, વરિષ્ઠ મતદાર તથા વિવિધ સમાજના લોકોએ તેમના પરંપરાગત પરિધાન સાથે મતદાન કર્યું હતું.










