મોરબીના વીસીપરા જેવા પછાત વિસ્તારમાં વર્ષ 2001 થી કાર્યરત ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય દ્વારા સમાજ ઉપયોગી અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. શાળામાં અભ્યાસ કરતા પિતા વગરના બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંચાલિત ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે તાજેતરમાં ટ્રસ્ટ દ્વારા વાલી મીટીંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં નિર્ણય લેવાયો હતો કે, ખાનગી શાળા હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ફી (FRC) કરતા પણ ઓછી ફી સાથે આગામી શૈક્ષણિક વર્ષ 2026-27માં બાળકોને શિક્ષણ આપવામાં આવશે. જે પરિવારમાં પિતા હયાત નથી તેના તમામ બાળકોને ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે શિક્ષણ અપાશે. આ ઉપરાંત જે પરિવારની 2 દીકરીઓ આ શાળામાં અભ્યાસ કરતી હશે તેમાંથી 1 દીકરીની 50% ફી માફ કરવામાં આવશે.
શાળા દ્વારા નવા રંગરૂપ સાથે બાળકો માટે શાળાના પટાંગણમાં નેચરલ ક્લાસ પણ ઉભો કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા ગત વર્ષે પણ 8 પિતા વગરના વિદ્યાર્થીઓને ફ્રીમાં શિક્ષણ અપાયું હતું તેમજ 2 કન્યાઓની ફીમાં 50% રાહત આપવામાં આવી હતી અને તમામ બાળકોને ફ્રીમાં સ્કૂલબેગનું વિતરણ કરાયું હતું.
આગામી જૂન માસથી શરૂ થઈ રહેલા 2026-27ના સત્રમાં વાલીઓ અને બાળકોને શિક્ષણ ક્ષેત્રે સારી વ્યવસ્થા પૂરી પાડવાના હેતુથી ટ્રસ્ટ દ્વારા આ વાલી મીટીંગ યોજાઈ હતી. જેમાં ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસ ટપુભાઈ પરમારની આગેવાની હેઠળ શાળાના વહીવટદાર અને ટ્રસ્ટના મંત્રી કે.આર. ચાવડા દ્વારા આગામી વર્ષ માટે શાળામાં થનાર આ નવા ફેરફારોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.











