મોરબી ખાતે સમરસ યુવા સંગઠન દ્વારા સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજના સંગઠન, સંસ્કાર અને પ્રગતિના હેતુસર ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલન આવતીકાલે તારીખ 2 મે 2026ને શનિવારના રોજ સવારે 9:30 કલાકે રવાપર-લીલાપર કેનાલ રોડ પર સ્થિત સમરસ ભવન ખાતે યોજાશે. સમાજને વધુ સુવ્યવસ્થિત અને પ્રગતિશીલ બનાવવા માટે મજબૂત બંધારણ ઘડવાનું આ સંમેલનનું મુખ્ય આકર્ષણ રહેશે.
આ પ્રસંગે સમાજના પરમ પૂજ્ય ધર્મગુરુઓ, ભૂવાશ્રીઓ, વડીલો અને આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમ દરમિયાન પરંપરાગત મૂલ્યો જાળવી રાખીને કુરિવાજોને દૂર કરવા, શિક્ષણના વ્યાપને વધારવા અને નવી પેઢીને સંસ્કારી બનાવવાના મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. મહાસંમેલનમાં જગતગુરુની સર્વોચ્ચ પદવી પ્રાપ્ત કરનાર મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુનું સમરસ યુવા સંગઠન દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવશે. ઉપરાંત, અખિલ ભારતીય રબારી સમાજ ધર્મ ગુરુગાદી શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામના લઘુ મહંત તરીકે નિયુક્ત થયેલા પૂજ્ય નાગરદાસજી બાપુને પણ સન્માનિત કરવામાં આવશે.
કાર્યક્રમમાં મહામંડલેશ્વર શ્રી રામબાલકદાસજી બાપુ, પૂજ્ય બંસીદાસજી બાપુ તેમજ વિવિધ સ્થળોના ભૂવાશ્રીઓ સહિતના ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. બપોરે 11:30 કલાકે ભોજન સમારંભનું આયોજન પણ રાખવામાં આવ્યું છે. સમરસ યુવા સંગઠન દ્વારા આ કાર્યક્રમને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ગણાવી દરેક ગામ અને પરિવારોને મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરવામાં આવી છે. “પરંપરાનું સન્માન અને બંધારણનું પાલન” એ સૂત્ર સાથે આ મહાસંમેલન સમાજમાં એકતા અને વિકાસનો નવો માર્ગ પ્રશસ્ત કરશે.








