વાંકાનેરના કણકોટ ગામની સીમમાં આવેલ કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઈન્ડિયા લિમિટેડના એલ.પી.જી. બોટલિંગ પ્લાન્ટમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંપનીમાં ફરજ બજાવતા પ્લાન્ટ ઇન્ચાર્જ અને ઓપરેટરે ભેગા મળીને કંપનીના વિશ્વાસઘાત કરી અંદાજે ૧.૫૨ કરોડ રૂપિયાની કિંમતનો ગેસ બારોબાર વેચી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર તાલુકા પોલીસે આ મામલે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, કંપનીના કર્મચારી શુભાંગસિંગ બિજેન્દ્રપાલ સિંગ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, પ્લાન્ટ ઇન્ચાર્જ સુરેશકુમાર ભેરૂલાલ મેઘવાલ અને ઓપરેટર ઇલ્યાસ નુરમામદભાઈ પરાસરાએ સાથે મળી આ કૌભાંડ આચર્યું હતું. બંને આરોપીઓએ સ્ટોરેજ પ્લાન્ટમાંથી કુલ ૯૨ ટન ૬૫૬ કિલોગ્રામ એલ.પી.જી. ગેસનો જથ્થો, જેની કિંમત ૧,૫૨,૮૮,૨૪૦ રૂપિયા થાય છે, તે કંપનીની જાણ બહાર સગેવગે કરી નાખ્યો હતો. આ ગેસ વેચીને મળેલા નાણાં કંપનીના ખાતામાં જમા કરાવવાને બદલે આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધા હતા. કંપની દ્વારા હિસાબની તપાસ કરવામાં આવતા આ મસમોટી ઉચાપત સામે આવી છે, જેના આધારે પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.








