મોરબી જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ જતીન ફુલતરિયાએ વિદેશ પ્રવાસ કર્યો રદ
મોરબી: પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે દેશની આર્થિક મજબૂતી અને સ્વદેશી અભિગમને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગુજરાતના વડોદરા સ્થિત સરદાર ધામ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન નાગરિકોને થોડા સમય માટે બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી હતી. વડાપ્રધાનના આ સંદેશાની અસર હવે ગુજરાતભરમાં જોવા મળી રહી છે.
વડાપ્રધાનના આહ્વાનને અનુસરીને વડોદરાના સાંસદ અને ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. હેમાંગ જોષીએ અમેરિકામાં યોજાનાર ‘યુનાઈટેડ ગુજરાતી કન્વેન્શન’માં હાજરી ન આપવાનો નિર્ણય લીધો હોવાનું પણ સામે આવ્યું છે. તે જ રીતે હવે મોરબીના ટુર એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા અને મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ જતીન ફુલતરિયાએ પણ પોતાના પરિવાર સાથેનો વિદેશ પ્રવાસ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માહિતી મુજબ તેઓ આગામી 2 જૂનના રોજ પરિવાર સાથે વિયેતનામ વેકેશન માટે જવાના હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રહિતના સંદેશા બાદ તેમણે આ પ્રવાસ હાલ પૂરતો કેન્સલ કરી દીધો છે.
જતીન ફુલતરિયાએ જણાવ્યું હતું કે હાલ દેશ માટે આર્થિક સજાગતા અને જવાબદારી દાખવવાનો સમય છે. તેઓ પોતે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોવા છતાં પોતાના ગ્રાહકોને પણ થોડા સમય માટે વિદેશ યાત્રા કરતાં ભારતના પ્રવાસન સ્થળોને પ્રાથમિકતા આપવા અને “વોકલ ફોર લોકલ” ભાવનાને મજબૂત બનાવવા અપીલ કરી રહ્યા છે.











