બે વ્યાજખોરોએ ચામડાતોડ વ્યાજ વસૂલવા ભારે સિતમ ગુજારી પઠાણી ઉઘરાણી કરી કોરા ચેક પડાવી લીધા
મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા બોરવેલના ધંધાર્થીને આર્થિક જરૂરત પડતા ગજડી અને કોયલી ગામના બે વ્યાજખોરો પાસેથી અનુક્રમે રૂ.4 લાખ અને 1.50 લાખ રૂપિયા માસિક 30 ટકા ઉંચા વ્યાજે લીધા બાદ રૂ.9.75 લાખ ચૂકવી દીધા હોવા છતાં બે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી કોરા ચેક પડાવી લઈ કેસ કરવાની નોટિસ આપી જાનથી મારી નાખવા ધમકી આપતા બન્ને વ્યાજખોર અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા બોરવેલના ધંધાર્થી પારસભાઈ રમેશભાઈ રૈયાણીને આર્થિક જરૂરત પડતા ઓક્ટોબર 2025મા આરોપી પરબત સવજીભાઈ રબારી રહે.કોયલી વાળા પાસેથી રૂ.4 લાખ અને આરોપી નિકુંજ ઉર્ફે નીતિન વાસીયાંગભાઈ જારીયા રહે.ગજડી તા.ટંકારા વાળા પાસેથી રૂ.1.50 લાખ માસિક 30 ટકા ઉંચા વ્યાજે લીધા હતા જે બાદ આરોપી પરબતને રૂ.8.40 લાખ અને આરોપી નિકુંજ ઉર્ફે નિતીનને રૂ.1.35 લાખ ચૂકવી આપ્યા હતા.જો કે, બન્ને આરોપીઓને વ્યાજ મૂદલ ચૂકવવા છતાં બન્નેએ કોરા ચેક પડાવી લીધા હોય કોર્ટ કેસ કરવા નોટિસ આપી અવાર નવાર બળજબરીપૂર્વક જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે બન્ને વ્યાજખોરો તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ નાણાં ધીરધારની કલમો મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.










