ભાજપ ખેડૂતોના હિતમાં વહેલામાં વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા સરકારને રજૂઆત: ભાવેશ કાનાણી (મીડિયા ઇન્ચાર્જ, મોરબી જિલ્લા ભાજપ)*
મોરબી ડેઈલી:ખેતરોમાંથી પસાર થતા વીજળીના મોટા થાંભલાઓના વિરોધમાં મોરબી ખાતેથી શરૂ થયેલું ખેડૂત આંદોલન અને આજ રોજ ૧૫ જૂનના દિવસે મોરબીથી ગાંધીનગર તરફ નીકળેલી ટ્રેક્ટર રેલી સંદર્ભે મોરબી જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ શ્રી ભાવેશભાઈ કાનાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ભાજપ સરકાર હંમેશા ખેડૂતોની પડખે રહી છે અને રહેશે. પરંતુ આ શુદ્ધ ખેડૂત આંદોલનનો આડશે કોંગ્રેસ અને આપ પોતાની રાજકીય રોટલી શેકવાનો અધમ પ્રયાસ કરી રહી છે.
આજ રોજ રેલી દરમિયાન કોંગ્રેસ અને આપ ના નેતાઓ દ્વારા રાજકીય દ્વેષભાવ રાખીને ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ આપ ની આ હલકી રાજનીતિના કારણે નિર્દોષ ખેડૂતો મુશ્કેલીમાં મુકાય અથવા કોઈ અનિચ્છનીય ઘટના બને તેવી ભીતિ સેવાઈ રહી છે. ભાજપ ક્યારેય ખેડૂતોનું અહિત સહન નહીં કરે.
આપ, કોંગ્રેસના ઉશ્કેરણીજનક વલણથી ખેડૂતોને બચાવવા અને તેમના પ્રશ્નોનું કાયમી નિવારણ લાવવા માટે રાજ્ય સરકારને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે, ખેડૂતોના હિતમાં વહેલામાં વહેલી તકે યોગ્ય અને સકારાત્મક નિર્ણય લેવામાં આવે જેથી વિપક્ષને રાજનીતિ કરવાનો કોઈ મોકો ન મળે.











