આજે બીજા દિવસે પણ કાયદાકીય રાહે યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા ખેડૂતો મક્કમ
મોરબી : ખેતરોમાંથી પસાર થતી ખાનગી કંપનીની વીજલાઇન અને પોલ મામલે ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. જેતપર ગામના ખેડૂતોએ વીજપોલના વિરોધમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. ખેડૂત ક્રાંતિ સંગઠનના નેજા હેઠળ તારીખ 18/06/2026 થી ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ખાનગી કંપનીના વીજપોલ ખેતરમાં નાખવામાં આવતા હોવાથી ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી કાયદા મુજબ યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી તેઓ પીછેહઠ કરશે નહીં.
આ ઉપવાસ છાવણીને આસપાસના 44 જેટલા ગામના ખેડૂતોએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ઉપવાસના પ્રથમ દિવસે જ 2775 થી વધુ ખેડૂતોએ છાવણીની મુલાકાત લીધી હતી અને ખેડૂત એકતાનો પરિચય આપ્યો હતો. ખેડૂતોએ એક જ સંકલ્પ કર્યો છે કે વળતર વગર કોઈપણ સંજોગોમાં વીજપોલ સ્વીકારવામાં આવશે નહીં. જો જરૂર પડશે તો ખેડૂતોના અધિકાર અને સન્માન માટે સરકાર સામે પણ લડત આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ઉપવાસ છાવણીને સમર્થન આપનારા 44 ગામોમાં જીવાપર (ચ.), જિકિયારી, હરિપર, આંદરણા, ચરાડવા, ખરેડા, વેણાસર, ચકમપર, લક્ષ્મીનગર, ધરમપુર, બગથળા, વેજલપર, સુલતાનપર, રાજપર (કું.), વિરાટનગર, અણીયારી, કડીયાણા, ત. શનાળા, ગુજરવદી, પંચાસર, ઉમિયાનગર, ખાનપર, જસમતગઢ, દહીંસરા, નવા સાદુળકા, વિશાલનગર, સાદુળકા, નવા ઘનશ્યામગઢ, જુના ઘાંટીલા, વાઘપર, ખાખરેચી, રાપર, કેરાળા, રંગપર, નવા દેવળીયા, જુના દેવળીયા, બગથળા, વાંકડા, વાંકીયા, શિવપુર, પ્રતાપગઢ, ગાળા સહિતના પંથકના ગામોનો સમાવેશ થાય છે.












