મોરબી : જેતપર ગામમાં વીજલાઈનના વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે આજે ખેડૂતો અને મહિલાઓએ પોલીસ તંત્ર સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેતરોને નુકસાન પહોંચાડનાર કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો જેતપર પોલીસ આઉટપોસ્ટ ખાતે પહોંચ્યા હતા.
ખેડૂતોના જણાવ્યા મુજબ વીજલાઈનની કામગીરી દરમિયાન અદાણી કંપની દ્વારા તેમના ખેતરોમાં મંજૂરી વગર કામગીરી કરી પાક અને જમીનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ મામલે જવાબદાર કંપની સામે ફરિયાદ નોંધાવવા માટે તેઓ પોલીસ આઉટપોસ્ટે પહોંચ્યા હતા. જોકે સ્થળ પર કોઈ જવાબદાર પોલીસ અધિકારી હાજર ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવા છતાં તેમની ફરિયાદ લેવામાં આવતી નથી અને તેમને ન્યાય મળતો નથી. કંપની દ્વારા દાદાગીરીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
ખેડૂતોના જણાવ્યા મુજબ જેતપર ગામની પોલીસ આઉટપોસ્ટ પર નિયમિત રીતે કોઈ અધિકારી હાજર રહેતા નથી. જેના કારણે ગામમાં બનતી ઘટનાઓ અંગે ફરિયાદ નોંધાવવા માટે લોકોને મોરબી સુધી જવું પડે છે. આઉટપોસ્ટ હોવા છતાં યોગ્ય પોલીસ વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પોલીસ અધિકારીની ગેરહાજરી અને ફરિયાદ સ્વીકારવામાં વિલંબ થતા વિરોધ સ્વરૂપે ખેડૂત મહિલાઓએ પોલીસ આઉટપોસ્ટના પરિસરમાં રામધૂન બોલાવી હતી. મહિલાઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવી તંત્રને ખેડૂતોની ફરિયાદ સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઘટનાને પગલે જેતપર ગામમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને વધુ વેગ મળ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.











