મોરબી: જેતપર ગામે ખેડૂતો દ્વારા વીજલાઇનના વળતર મુદ્દે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ છે. જેમાં આજે ખેડુતોએ વિરોધમાં પણ એક અનોખો અને પ્રશંસનીય માર્ગ અપનાવ્યો છે. ખેડૂતો દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક જ દિવસમાં 5000થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ભગીરથ કાર્યને પ્રોત્સાહન આપવા માટે મોરબી સિરામિક એસોસિએશનના ત્રણ પ્રમુખોએ કેમ્પની મુલાકાત લીધી હતી.
સિરામિક એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાતે જણાવ્યું હતું કે ખેડૂતોએ વીજ થાંભલા અંગેની માંગણીઓ અને વિરોધ સાથે સાથે દેશ અને રાષ્ટ્ર પ્રત્યેની લાગણી દાખવીને રક્તદાનનો જે માર્ગ પસંદ કર્યો છે તે ખૂબ જ સરાહનીય છે. સિવિલ હોસ્પિટલમાં તેમજ પ્રસુતિ સમયે મહિલાઓને રક્તની ભારે જરૂરિયાત રહેતી હોય છે. મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની બ્લડ બેંકો પણ આ કેમ્પમાં રક્ત એકત્રિત કરી રહી છે. આ કેમ્પ સમગ્ર જિલ્લા માટે આશીર્વાદરૂપ બનશે.
સિરામિક એસોસિએશનના પ્રમુખ સંદીપ કુંડારીયાએ કેમ્પની મુલાકાત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીઝ ઝોનની નજીકમાં જ આટલું મોટું માનવ સેવાનું કાર્ય થઈ રહ્યું હોય, ત્યારે ઉધોગકારો તરીકે તેમાં સહભાગી બનવું તેમની ફરજ છે. 5000થી વધુ બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક એક રેકોર્ડ સમાન છે. આ ઉમદા કાર્યને પ્રોત્સાહન આપવા માટે તેઓ, નરેન્દ્રભાઈ સંઘાત અને અજયભાઈ મારવાણીયા સહિતના આગેવાનોએ કેમ્પની રૂબરૂ મુલાકાત લીધી હતી.











