મોરબીમાં વર્ષ 2018 ના ત્રિપલ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલો અને છેલ્લા 10 મહિનાથી ફર્લો રજા પરથી નાસતા ફરતા આરોપી ભરત નારણભાઇ ડાભીને આખરે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી લીધો છે.
અષાઢી બીજની રથયાત્રાના અનુસંધાને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને તેના જ રહેણાંક મકાનેથી પકડી પાડવામાં આવ્યો છે અને તેને ફરી રાજકોટ જેલ ભેગો કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પોલીસ રેકોર્ડ મુજબ, આરોપી ભરત નારણભાઇ ડાભી (ઉંમર વર્ષ 30, રહે. મોરબી કેનાલ રોડ, બોરીયા જકશીની વાડી, લાડલી પાર્ટીપ્લોટની સામે) મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ 2018 ના ત્રિપલ મર્ડરના ગુનામાં (ઇ.પી.કો કલમ 302, 143, 147, 149, 34 મુજબ) આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. આ દરમિયાન નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેને 14 દિવસની ફર્લો રજા મંજૂર કરવામાં આવી હતી.
આ રજા પૂર્ણ થતાં તેને તારીખ 28-10-2025 ના રોજ રાજકોટ જીલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ તે નિયત સમયે જેલમાં હાજર ન થઈને જમ્પ કરી નાસી ગયો હતો. છેલ્લા 10 મહિનાથી નાસતા ફરતા આ પાકા કામના કેદીને પોલીસે દબોચી લીધો છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.સી. ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.










