મોરબીના માળિયા-હળવદ હાઇવે પર ગત રાત્રિએ હત્યા કરવામાં આવી હતી. હોટલ પર નાસ્તો કરવા ગયેલા ૨૮ વર્ષીય અનિલ કંડિયા નામના યુવાન પર ચાર અજાણ્યા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીની પ્રભુ કૃપા ટાઉનશીપમાં રહેતો અનિલ હરિલાલ કંડિયા તેના મિત્ર વિવેક અઘારા સાથે હાઇવે પર આવેલી હોટલે નાસ્તો કરવા ગયો હતો. આ સમયે અચાનક ચાર શખ્સોએ ધસી આવી અનિલના પડખાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર હાલતમાં અનિલને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ આ હત્યા પાછળ પૈસાની લેતી-દેતી હોવાની શક્યતા સેવાઈ રહી છે. હાલ માળિયા તાલુકા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હુમલાખોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.









