મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે શહેરના પ્રથમ મેયર પદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મેયર પદ માટે દલવાડી સમાજના આગેવાન ગણેશભાઈ ડાભીનું નામ મજબૂત દાવેદાર તરીકે સામે આવી રહ્યું છે, પરંતુ તેની સાથે જ આંતરિક રાજકારણ પણ ગરમાયું છે. મોરબીના રાજકારણમાં જૂની પરંપરા મુજબ એક નેતાની પ્રભાવશાળી સ્થિતિને નબળી પાડવા માટે અન્ય નેતાઓ સક્રિય થયા હોવાની ચર્ચા ચાલી રહી છે.
તાજેતરમાં નાનજી છગનભાઈ નકુમ દ્વારા ગણેશભાઈ ડાભી સામે વર્ષો જૂના મુદ્દાઓને આધારે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા પ્લેટફોર્મ પર વિડિયો અને ઓડિયો ક્લિપ રજૂ કરીને આક્ષેપોને મજબૂત બનાવવા પ્રયાસ થયો છે. જોકે, આ મુદ્દાઓ હાલમાં ફરી સામે આવવા પાછળ રાજકીય હેતુઓ હોવાની ચર્ચા શહેરમાં જોર પકડી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જો આક્ષેપો જૂના છે તો તે સમયે પોલીસમાં ફરિયાદ કેમ નોંધાઈ નહોતી? તેમજ વર્ષ જૂના સીસીટીવી ફૂટેજ હાલ જાહેર કરવા પાછળ શું કારણ છે? જ્યારે અગાઉ પોલીસ આયોજિત લોકદરબારમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અન્ય આગેવાનો દ્વારા કોઈ ખાસ પ્રતિક્રિયા કેમ આપવામાં આવી નહોતી? ખાસ કરીને ગણેશ ડાભીએ મેયર પદ માટે દાવેદારી નોંધાવ્યા બાદ જ આ મુદ્દાને તાજગી આપવી રાજકીય સંકેતો તરફ ઈશારો કરે છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ગણેશ ડાભીને મેયર પદની હરિફાઈમાંથી દૂર રાખવા માટે આ પ્રકારના આક્ષેપો અને વિવાદો ઉભા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, કેટલાક આગેવાનોના વ્યક્તિગત હિતને કારણે પક્ષની છબી પર અસર પડે તેવી પ્રવૃત્તિઓ પણ પ્રદેશ ભાજપના ધ્યાનમાં આવી હોવાનું કહેવાય છે. મોરબી ભાજપે તાજેતરની ચૂંટણીમાં આંતરિક મતભેદો દૂર કરીને એકતા સાથે જીત મેળવી હતી. હવે આ નવી પરિસ્થિતિમાં ફરી આંતરિક મતભેદો ઊભા થાય તેવી શક્યતા વચ્ચે પ્રદેશ ભાજપ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.









