મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં કચરાના સામ્રાજ્ય અંગેનો જાગૃત નાગરિકે સોશિયલ મિડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7 ના ભાજપના કોર્પોરેટર ભાવિનભાઈ ઘેલાણી તથા મમતાબેન ઠાકર તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. તેમણે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ સફાઈ વિભાગને ત્વરિત સૂચના આપી હતી.
પ્રજાના પ્રશ્નો પ્રત્યે સજાગ કોર્પોરેટરોની સક્રિયતાને કારણે મનપાના સફાઈ વિભાગની ટીમ રવિવારે પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફરિયાદ મળ્યાના માત્ર 2 જ કલાકના ટૂંકા ગાળામાં મહેન્દ્રપરા ખાતેથી કચરાનો નિકાલ કરી સમગ્ર જગ્યાની યોગ્ય સફાઈ કરાવવામાં આવી હતી. વોર્ડ નંબર 7 ના ભાજપના કોર્પોરેટરોએ રવિવારના દિવસે પણ આટલી ઝડપી અને સકારાત્મક કામગીરી કરીને સાબિત કરી આપ્યું છે કે તેઓ પોતાના વિસ્તારના લોકોની સુખાકારી અને પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા કટીબદ્ધ છે. તેમની આ ત્વરિત કામગીરીને સ્થાનિક રહીશોએ પણ બિરદાવી છે. સફાઈ ઝુંબેશ પૂર્ણ કરાવ્યા બાદ કોર્પોરેટર ભાવિનભાઈ ઘેલાણી તથા મમતાબેન ઠાકર દ્વારા સ્થાનિક લોકોને પણ જાહેર જગ્યાઓ પર કચરો ન ફેંકવા અને મોરબીને સ્વચ્છ રાખવામાં સહભાગી બનવા માટે અપીલ કરવામાં આવી છે.











