સ્વ. સંગીતાબેનની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પ્રેરણાદાયી આયોજન: જયેશ જાનીએ 72 મી અને રૂપલબેન શાહે 55 મી વખત રક્તદાન કર્યું
મોરબી: મોરબીમાં સ્વ. સંગીતાબેન દિવ્યકાન્ત ભાટિયાની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કુંડારીયા પરિવાર અને ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી સંસ્કાર ઇમેજિંગ સેન્ટર હોલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં 51 રક્તદાતાઓએ રક્તદાન કરીને દિવંગતને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ઉનાળાની ઋતુમાં જ્યારે લોહીની ભારે અછત સર્જાતી હોય છે, ત્યારે આ પરિવાર દ્વારા થેલેસેમિયા પીડિત બાળકો અને ગરીબ દર્દીઓની વહારે આવીને દર વર્ષે રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે.
આ કેમ્પમાં કોરોના કાળ દરમિયાન 200 જેટલા કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર જયેશભાઈ જાનીએ આ કેમ્પમાં 72 મી વખત રક્તદાન કર્યું હતું. જ્યારે યોગ બોર્ડના રૂપલબેન શાહે 55 મી વખત રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
અગ્રણીઓની ઉપસ્થિતિ
આ કેમ્પ માં જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા અને જિલ્લા ભાજપ મહામંત્રી નિર્મલભાઈ જારીયા સહિત ના આગેવાનો ની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
આ કેમ્પને સફળ બનાવવા માટે કોર્પોરેટર નવનીતભાઈ કુંડારીયા, દિવ્યકાન્ત ભાટિયા તેમજ કુંડારીયા અને ભાટિયા પરિવારના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ સ્વ. સંગીતાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તમામ આયોજકો તેમજ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.














