મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા વધુ એક સરાહનીય સેવા કાર્ય કરવામાં આવ્યું છે. ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રી સ્વ. કસ્તુરબેન નરભેરામભાઈ ઉઘરેજાની પુણ્યતિથિ નિમિતે વિજાપુરાના પાટીયા પાસે આવેલ સાંપ્રત એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, જુનાગઢ સંચાલિત અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોની સંસ્થામાં સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
હેતલબેન પટેલ દ્વારા સંસ્થાના બાળકોને 300 જોડી ટી-શર્ટ અને પેન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકોને આખા દિવસનું ભોજન તેમજ ફળોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યથી સંસ્થાના બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ સેવાકાર્યમાં જિજ્ઞાશાબેન ગોસ્વામી, ચેતનાબેન કાસુન્દ્રા, આશાબેન બોખાણી, જયભાઈ મેરજા સહિતના જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સાંપ્રત એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આ સંસ્થામાં 87થી વધુ અનાથ અને દિવ્યાંગ બાળકોનું વિનામૂલ્યે પાલન-પોષણ અને સંભાળ કરવામાં આવે છે. જેમાં 2થી 10 વર્ષની વયના નાના બાળકોની સંખ્યા નોંધપાત્ર છે. સંસ્થા દ્વારા બાળકોના શિક્ષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ આ સેવાકીય કાર્યને વિવિધ વર્ગોમાંથી પ્રશંસા મળી રહી છે.












