પોતાના સેવાકાળમાં વાવેલા વૃક્ષોની માવજત કરવા વહેલી સવારે શાળાએ પહોંચ્યા નિવૃત્ત શિક્ષક જસમતભાઈ કારોલીયા
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામે શાળા પ્રવેશોત્સવ દરમિયાન એક અદભુત અને હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું. લાલપર તાલુકા શાળાના નિવૃત્ત શિક્ષક જસમતભાઈ કારોલીયા આજે પ્રવેશોત્સવ નિમિત્તે વહેલી સવારે શાળાએ આવી પહોંચ્યા હતા. તેમણે પોતાના શિક્ષક કાળ દરમિયાન શાળા પરિસરમાં વાવેલા વૃક્ષો નીચે પડેલા સૂકા પાંદડા વાળીને સાફ-સફાઈ કરી હતી અને 1-1 ઝાડનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને તેને સરખા કરતા જોવા મળ્યા હતા.
આ કર્મયોગી શિક્ષક નિવૃત્ત થયા પછી પણ વર્ષમાં અવારનવાર શાળાની મુલાકાત લેતા રહે છે અને પોતાની કર્મભૂમિને ક્યારેય ભૂલ્યા નથી. તેમની આ પ્રશંસનીય સેવાકીય પ્રવૃત્તિ જોઈને ગામના આગેવાનો પણ ભાવવિભોર થયા હતા. લાલપર ગામના આગેવાનોએ પોતાના સ્થાને ઊભા થઈને માનભેર જસમતભાઈ કારોલીયાને શાલ ઓઢાડીને તેમનું ભવ્ય સન્માન કર્યું હતું. ગામના લોકો અને આગેવાનોએ આવા સાચા કર્મયોગી શિક્ષકની ઉત્કૃષ્ટ સેવાને બિરદાવીને વંદન કર્યા હતા.














