(હરનિશ જોશી)મોરબી: શાંતિ સદ્ભાવના અભિયાન (શિપિંગ, એવિએશન અને ટૂરિઝમ વિંગ) દ્વારા તારીખ ૧૬, ૧૭ અને ૧૮ જુલાઈ દરમિયાન મોરબી શહેરમાં ત્રિદિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસ દરમિયાન મોરબીના વિવિધ સરકારી વહીવટી, ન્યાયિક, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રોને સાંકળીને કુલ ૧૮ જેટલા જાગૃતિ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યા છે.આ અભિયાનમાં મોરબીના મુખ્ય વહીવટી તંત્રો જેવા કે કલેક્ટર ઓફિસ, કમિશનર ઓફિસ અને જિલ્લા પંચાયત ખાતે વિશેષ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ શૃંખલાના મુખ્ય ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર્સ માટે ‘હોલિસ્ટિક વેલનેસ’ (સંપૂર્ણ સ્વાસ્થ્ય અને સુખાકારી) વિષય પર વિશેષ પ્રેરણાદાયી સત્ર યોજાયું હતું. આ ઉપરાંત, મોરબીના માનનીય મેયરશ્રી અને ડેપ્યુટી મેયરશ્રી સાથે વિશેષ બેઠક, મોરબી પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો, ડિસ્ટ્રિક્ટ કોર્ટના વકીલ મિત્રો (Advocates), સમાજની મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) તેમજ વિવિધ સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો માટે પણ અલગ-અલગ સત્રો યોજાયા હતા. આ ભવ્ય આયોજન બદલ સંસ્થાના પદાધિકારીઓએ મોરબીના સમગ્ર વહીવટી તંત્ર, યોગ બોર્ડના સભ્યો અને નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.આ જ રીતે આખા મોરબી શહેરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમો વડે શાંતિ અને સદ્ભાવનાનો પ્રસાર કરવામાં આવ્યો હતો. સાથે જ સરકારી અધિકારીઓને સેવાભાવ સાથે ‘કર્મયોગી’ બનીને ભારત દેશને વધુ સશક્ત અને સમૃદ્ધ બનાવવાનો એક પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.













