મોરબી : મોરબીમાં કતલખાને લઈ જવાતા પશુઓ સામે ગૌરક્ષકો અને પોલીસે મોટી કાર્યવાહી કરી છે. કચ્છથી માળિયા થઈને મોરબી તરફ આવી રહેલી એક ઇકો ગાડીમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલા 23 ઘેટાને મુક્ત કરાવી 1 આરોપીની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી-ગુજરાત, હિન્દુ યુવા વાહિની અને કચ્છ ગૌરક્ષકોને સંયુક્ત બાતમી મળી હતી કે, કચ્છના કનૈયા બે વિસ્તારમાંથી એક ઇકો ફોરવીલ ગાડી નંબર GJ 03 LR 5449 માં પશુઓને કતલ કરવાના ઇરાદે ભરીને માળિયા થઈ રાજકોટ તરફ લઈ જવામાં આવી રહ્યા છે. આ ચોક્કસ માહિતીના આધારે ગૌરક્ષકોની ટીમ વોચમાં ગોઠવાયી હતી. બાતમીવાળી ગાડી માળિયાથી પસાર થતાં જ તેનો પીછો કરવામાં આવ્યો હતો અને લક્ષ્મીનગર નજીક પોલીસના સહયોગથી તેને રોકી લેવામાં આવી હતી.
પોલીસ અને ગૌરક્ષકોએ ગાડીની તપાસ કરતા તેમાંથી 23 નાના-મોટા ઘેટા ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. પકડાયેલા વાહન ચાલકની પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ ઘેટા કચ્છથી કતલખાને લઈ જ્વા માટે ભર્યા હતા, જેમાંથી અડધા મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં અને બાકીના અડધા રાજકોટ ખાતે ઉતારવાના હતા. પશુઓના પરિવહન અંગે ચાલક પાસે કોઈ જ પરમિટ ન હોવાનું સામે આવ્યું છે.
ગૌરક્ષકો અને પોલીસે તમામ 23 જીવોને મુક્ત કરાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. પોલીસે ઇકો ગાડી કબજે લઈ આરોપીનીધરપકડ કરી છે અને તેની સામે આગળની તપાસ શરૂ કરી છે. આ ઓપરેશનને સફળ બનાવવામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી-ગુજરાત, હિન્દુ યુવા વાહિની અને કચ્છ ગૌરક્ષકોના કાર્યકરો તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.










