(હરનિશ જોશી)મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ (જિલ્લા અદાલત) ખાતે વકીલો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત આ વિશેષ સેશનનો મુખ્ય વિષય ‘ધ પાવર ઓફ કામ જજમેન્ટ’ (The Power of Calm Judgment) રાખવામાં આવ્યો હતો.આ ગરિમાપૂર્ણ સેશનમાં મોરબી કોર્ટના સિનિયર તેમજ જુનિયર એડવોકેટ્સ (Advocates) સહિત ૭૦થી વધુ કાયદાકીય ક્ષેત્રના મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હળવદસમાચાર
કાર્યક્રમના મુખ્ય વક્તા બ્રહ્માકુમાર સંતોષભાઈ (BK Santosh) એ ઉપસ્થિત વકીલ મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, ન્યાયિક અને કાયદાકીય પ્રક્રિયા સાથે જોડાયેલા લોકો પર માનસિક દબાણ ખૂબ વધારે હોય છે. આવા વ્યસ્ત અને તણાવપૂર્ણ વાતાવરણમાં મનની શાંતિ અને સ્થિરતા જ સાચો તેમજ સચોટ નિર્ણય લેવામાં અને કેસના સચોટ વિશ્લેષણમાં મદદરૂપ બને છે. મનની શાંતિથી કાર્ય કરવાની ક્ષમતા અનેક ગણી વધી જાય છે.આ સેશનમાં બી.કે. કિંજલબેન, બી.કે. બંસીબેન અને બી.કે. કાનજીભાઈ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત સૌ વકીલ મિત્રોને રોજિંદા જીવનમાં રાજયોગ મેડિટેશન અપનાવીને કેવી રીતે તણાવમુક્ત અને સકારાત્મક રહી શકાય તેની પ્રેક્ટિકલ સમજ આપી હતી. કાર્યક્રમના અંતમાં કોર્ટના પદાધિકારીઓ અને વકીલોએ આ સકારાત્મક સેશન બદલ બ્રહ્માકુમારીઝ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો











