વાંકાનેર ખાતે આજે ગુરૂવારના રોજ શહેરી વિસ્તારના મહિલાઓ દ્વારા દાણાપીઠ ચોકમાં વાંકાનેર નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેથી થોડીવાર માટે ટ્રાફિક જામ પણ થયો હતો.
આ વિરોધ પ્રદર્શનમાં નગરપાલિકામાં કોંગ્રેસના સદસ્યો મહંમદભાઈ રાઠોડ, એકતાબેન ઝાલા, અશરફભાઈ ચૌહાણ, કુલસુમબેન તરિયા સહિત કોંગ્રેસ અગ્રણીઓ રાજુભાઈ પ્રજાપતિ અને રજાકભાઈ તરિયા પણ જોડાયા હતા.
વાંકાનેર દાણાપીઠ ચોકમાં મહિલાઓ દ્વારા શહેરના ભંગાર રોડ રસ્તા, ફિલ્ટર વગરનું દૂષિત પાણી, ઉભરાતી ભૂગર્ભ ગટરો, ગટરોના તૂટેલા ઢાંકણા, દાણાપીઠ ચોકથી કોલેજ અને હાઇવે થઈ દાણાપીઠ ચોક રોડ, મિલપ્લોટ વીશીપરા રોડ, ગંદકી સહિતની સમસ્યાઓ બાબતે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
આ સમયે નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યો અને શહેર કોંગ્રેસ અગ્રણીઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે પુર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા સહિતના કોંગ્રેસ અગ્રણીઓએ વાંકાનેર મામલતદાર સમક્ષ ઉપરોક્ત સમસ્યાઓ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી.

